નડિયાદ: આજે રંગોનો તહેવાર રાજ્યમાં ઘણા પરિવાર માટે આફત બનીને આવ્યો છે. આજે રાજ્યમાં પાણીમાં ડૂબવાથી અલગ અલગ જગ્યાએ 11 લોકોના મોત થયા છે તો કેટલાકની સારવાર ચાલી રહી છે. આવી એક ઘટના સામે આવી છે નડિયાદમાં જ્યાં એક યુવક 50 ફુટ ઉંડા કુવામાં પડ્યો હતો. જો કે સદનશીબે તેનો જીવ તો બચી ગયો છે પરંતુ મળતી માહિતી પ્રમાણે તેની સ્થિતિ હજી પણ થોડી નાજુક છે.




આ ઘટના અંગે વિગતે  વાત કરીએ તો નડિયાદ એસટી નગર વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી હતી. જ્યાં એક વ્યક્તિ 50 ફૂટ ઊંડા કૂવામાં પડ્યો હતો. ક્રિકેટ રમતી વખતે અચાનક 50 ફૂટ ઊંડા કુવામાં પડતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ હતી. ત્યાર બાદ આ બનાવની જાણ નડિયાદ ફાયર બ્રિગેડ અને 108ની ટીમને કરવામાં આવી હતી. કોલ મળતા જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી કુવામાં પડેલ યુવકને રેસ્ક્યું કરી બહાર કાઢ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જો કે કુવામાં પડેલ યુવકની સ્થિતિ નાજુક હોવાની વાત સામે આવી રહી છે. જેથી તેને નડિયાદ સિવિલ હોસ્પિટલમાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.


ધુળેટીના દિવસે અલગ અલગ દુર્ઘટનામાં ડૂબી જતા 11 લોકોના મોત


 18 માર્ચ ધુળેટીનો દિવસ ગુજરાત માટે દુર્ઘટનાનો દિવસ રહ્યો છે. આજના દિવસે રાજ્યમાં વિવિધ ત્રણ દુર્ઘટનામાં પાણીમાં ડૂબી જવાથી 11 લોકોના મોત  થયા છે. દેવભૂમિ દ્વારકામાં 5, મહિસાગરમાં 4 અને ખેડામાં 2 બાળકો ડૂબ્યા છે. 


ખેડામાં બે બાળકો ડૂબ્યા 


ખેડા જિલ્લાના વસો તાલુકા ઝારોલ ગામેં બે બાળકોના ડૂબી જવાથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ધુળેટી પર્વ પર ગામના તળાવમાં ન્હાવા પહેલા બે બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે. આ બન્ને બાળકોની ઉમર 14 અને 15 વર્ષની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં 15 વર્ષના બાળકનું નામ પ્રિતેશ અજીતભાઈ સોલંકી અને 14 વર્ષના બાળકનું નામ સાગર અજીતભાઈ સોલંકી છે. મૃતક બાળકોના મૃતદેહની   પીએમની કાર્યવાહી નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે.


મહીસાગરમાં ત્રણ મામા અને એક ભાણીયાનું મોત 


એક બાજુ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં નદીમાં ડૂબી જવાથી પાંચ યુવાનોના મોત થયાના સમાચાર તાજા છે ત્યાં બીજી બાજુ મહીસાગર નદીમાં ચાર યુવાનો ડૂબ્યાના સમાચાર મળી રહ્યાં છે. મહીસાગર નદીમાં કઠલાલના ચાર યુવાનો ડૂબ્યા હોવાના સમાચાર છે. આ દુર્ઘટના વણાકબોરીમાં ધુળેટી પર્વ દરમિયાન યોજાયેલા મેળામાં ઘટી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ચાર માંથી ત્રણ યુવાનો મામા અને એક યુવાન ભનાઇયો હોવાનું સામે આવ્યું છે. 


ભાણવડમાં પાંચ યુવાનોના ડૂબી જતા મોત 


દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં કરુણાંતિકા સર્જાઈ છે. ભાણવડમાં ત્રિવેણી સંગમમાં નદીમાં નહાવા પડેલા પાંચ યુવાનોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. સ્થાનિક તરવૈયાઓએ તમામના મૃતદેહ બહાર કાઢ્યાં  છે. આ સમાચાર બહેતા થતા સમગ્ર ભાણવડ તેમજ  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ પાંચ યુવાનો ધુળેટી પર્વ પર નદીમાં નહાવા માટે ગયા હતા અને આ દરમિયાન નદીના પાણીમાં ડૂબી ગયા હતા. સ્થાનિક તરવૈયા દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તમામના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા અને તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાણવડ હોસ્પિટલ મોકલવામાં આવ્યાં  છે.