બનાસકાંઠા: ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના જાહેરા કરી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડાએ આજે ગુજરાતની પણ ચાર બેઠકો પર પેટા ચૂંટણીની તારીખની જાહેરાત કરી છે. જેમાં અમરાઈવાડી, લુણાવાડા, થરાદ અને ખેરાલુમાં પેટાચૂંટણી યોજાવાની છે.


થરાદ બેઠક પર ભાજપમાંથી શંકર ચૌધરીનું નામ નક્કી માનવામાં આવે છે ત્યારે આજે એક નવો વિવાદ સામે આવ્યો છે. પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલ અને શંકર ચૌધરીને થરાદ બેઠક પરથી ટીકિટ મળે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે સ્થાનિક લોકોના મતે, સ્થાનિક વ્યક્તિને ટીકિટ આપે તેવી માંગ કરી છે. ત્યારે પરબત પટેલે પણ સ્થાનિક વ્યક્તિને ટીકિટ મળે તેવી વાત કરી હતી.

પરબત પટેલ બનાસકાંઠાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પૂર્વ મંત્રી શંકર ચૌધરી લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. જોકે પ્રદેશ ભાજપ અને સરકારમાં કેટલાંક નેતાઓ તેમની રિટર્ન એન્ટ્રી સામે આડા ઉતરે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ સંજોગોમાં સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલને થરાદથી વિધાનસભામાં એન્ટ્રી મળે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે.