ગુજરાતમાં કેમ જોવા મળી રહ્યું છે વાદળછાયા વાતાવરણ? હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Dec 2019 09:15 AM (IST)
આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, કચ્છ સહિત અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગે કરી હતી.
અમદાવાદ: અરબી સમુદ્રમાં ફરી એકવાર લો-પ્રેશર સક્રિય થયું છે. જેમાં આગામી 24 કલાકમાં લો-પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આ લો-પ્રેશરની અસર ગુજરાત પર પડશે નહીં પરંતુ લધુત્તમ તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો જોવા મળશે. આ સાથે 24 કલાકમાં દરમિયાન સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, કચ્છ સહિત અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, કચ્છ સહિત અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગે કરી હતી. આ વિસ્તારોમાં વધારે વરસાદ નહીં પડે પરંતુ હળવો જ વરસાદ પડશે. હવામાન વિભાગની આ આગાહી બાદ ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ચોમાસું વીતી ગયા બાદ પણ અલગ-અલગ સાયક્લોનને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તેને કારણે ખેડૂતોનાં પાકને પણ ઘણું નુકસાન પહોંચ્યું છે જોકે આગામી દિવસોમાં સાયક્લોનિક સિસ્ટમને કારણે ગુજરાતનાં વાતાવરણમાં પલટો આવશે પણ વરસાદની આગાહી ન હોવાથી ખેડૂતોએ વાવેલાં શિયાળા પાકને કોઈ નુકસાન નહીં થાય. અમદાવાદ સહિત રાજ્યમાં શરૂ થયેલા ઉત્તર પૂર્વના ઠંડા પવનની અસરથી દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3થી 4 ડિગ્રી ઘટાડો નોંધાતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. દિવસે પણ લોકો ગરમ કપડામાં જોવા મળ્યા હતા. શનિવારે અમદાવાદમાં સાંજથી ઠંડા પવનો ફૂંકાવાનાં શરૂ થયા હતાં.