અમરેલીઃ દીપડાએ સૌરાષ્ટ્રના 5 તાલુકામાં છેલ્લા એક વર્ષમાં 17 જણાના જીવ લીધા હોવાનો વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાનો દાવો કર્યો હતો. અમરેલીના બગસરામાં માનવભક્ષી દીપડાએ છેલ્લા પાંચ દિવસમાં ત્રણ વ્યકિતનો ભોગ લીધા બાદ પકડી પાડવા મેગા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો. તેમ છતાં ગત મોડી રાત્રે બગસરાના લુંઘીયા ગામે મોડી રાત્રે દીપડાએ એક મહિલા અને ભેંસના પાડા પર હુમલો કર્યો હતો. માનવ ભક્ષી દીપડાના એકજ રાતમાં બે હુમલાથી બગસરાના લુંઘીયામાં સ્થાનિકોમાં ભારે ખોફ જોવા મળી રહ્યો છે.


દીપડાના હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. દયાબેન માળવી નામની મહિલાને બગસરાની સરકાર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

દીપડો ગામમાં ઘુસી આવ્યો તેમજ લોહી તરસ્યો થયા હોવાના સમાચારથી ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો. લોકોએ પોતાની જાતને ઘરમાં જ કેદ કરી લીધી હતી. એકાએક હુમલાની ઘટનામાં વધારો થતા વન વિભાગ અને પોલીસે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉપરાંત લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા સલાહ અપાઈ છે.

અમરેલીના બગસરા અને આસપાસના વિસ્તારોમાં માનવભક્ષી દીપડાના વધી રહેલા ત્રાસને કારણે તેને પકડી પાડવા મેગા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. અમરેલી જિલ્લા કલેકટર અને સીસીએફે સયુંકત પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, અમરેલી, જૂનાગઢ અને ગાંધીનગર વનવિભાગાના કર્મચારીઓ સંયુક્ત ઓપરેશન હાથ ધરશે, માનવભક્ષી દીપડાને ઠાર મારવા વનવિભાગના સ્પે. શૂટરો કામે લાગ્યા છે.

બગસરા પંથકમાં 30 પાંજરા, સીસીટીવી કેમેરા સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વનવિભાગના ઓપરેશનમાં અમરેલી જિલ્લા પોલીસની ટીમ પણ જોડાશે. આજે સાંજથી મેગા ઓપરેશન શરૂ થશે. ઓપરેશન દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાંજે 7 વાગ્યા બાદ ખેડૂતો અને ખેતમજૂરોને ખેતર નહીં જવા અનુરોધ કરાયો હતો.

આ મામલે ગઈકાલે વિસાવદરના ધારાસભ્ચ હર્ષદ રિબડીયાએ જણાવ્યું, 'અમારા પાંચ તાલુકામાં 17 લોકોને માનવભક્ષી દીપડાએ ફાડી ખાધા, 67 લોકોને ઘાયલ કર્યા. જંગલ ખાતું દીપડાને કેમ ઠાર નથી મારી શકતા, મારે ન છૂટકે હથિયાર ધારણ કરવું પડ્યું, લોકોની રક્ષા કરવી અમારી ફરજ છે. આજે ખેડૂત આગેવાન તરીકે હથિયાર લઈને નીકળ્યો છે. જંગલ ખાતુ દીપડાને ન પકડી શકે તો અમે ઠાર મારવા સક્ષમ છીએ હું આજે જનપ્રતિનિધિ તરીકે નીકળ્યો છું અને હું જંગલ ખાતાને કહેવા માંગું છું કે તમે ન મારી શકો તો હું ઠાર મારીશ'