અમદાવાદઃ ગુજરાતીઓ માટે સૌથી મોટો તહેવાર ઉત્તરાયણ નજીકમાં છે ત્યારે ગુજરાત સરકારે ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માટે ધાબે એકઠા થવા મુદ્દે મોટો નિર્ણય લીધો છે.


ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, ઉત્તરાયણના તહેવારોમાં લોકો ધાબે મોટી સંખ્યામાં ભેગા ના થાય એ માટે ગુજરાત સરકાર માર્ગદર્શિકા જારી કરશે. તેમણે સ્પષ્ટતા કરી કે, ગુજરાત સરકાર એક ધાબા પર પરિવારનાં 5-6 લોકો ભેગાં થાય તેને મંજૂરી આપશે પણ કોઈ પણ સંજોગોમાં એક ધાબા પર 50 લોકો ભેગા થાય એને મંજૂરી નહિ આપે. એક જ પરિવારના અને એક રસોડે જમતાં હોય એવાં લોકો ધાબે જઈ શકશે પણ બહારનાં લોકો ધાબા પર આવીને ભીડે કરે તેને કોઈ સંજોગોમાં મંજૂરી નહીં અપાય.

અમદાવાદમાં રામદેવનગરમાં સદવિચાર પરિવારની મોક્ષવાહિનીના લોકાપર્ણ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંકેત આપ્યો કે, રાજય સરકારે આ વર્ષે પતંગોત્સવ ઊલે રદ કરી દીધા છે પણ આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને કારણે ઉતરાયણમાં છૂટછાટ આપી શકે છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવા સંકેત આપ્યા છેકે, ધાબા પર પરિવારના પાંચ-છ જણાં પતંગ ઉડાડે તો વાંધો નથી પણ ધાબાં અને પોળોમાં 50થી વધુ લોકો એકઠા થઇ શકશે નહીં. સરકારના નિર્ણયના કારણે આ વર્ષે પોળોમાં ભાડેથી ધાબા મેળવી મિત્ર-સબંધીઓ સાથે પતંગ ઉડાડવાની મજા માણી શકાશે નહીં. પણ ટોળા એકઠાં નહી થઇ શકે. પોળો અને ધાબા પર 50થી વધુ લોકોને મંજૂર નહી મળે. તેમણે એવુ પણ જણાવ્યું કે, ટૂંક સમયમાં હાઇપાવર કમિટીમાં આ મુદ્દે નિર્ણય લેવાશેઉતરાયણમાં પતંગ ઉડાવવાના મામલે આખીય માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.

આ વર્ષે ગુજરાતીઓએ સરકારની ગાઇડલાઇન મુજબ ઉતરાયણની ઉજવણી કરવી પડશે. રસ્તા પર પતંગ ઉડાડવા કે પતંગ લૂંટવા પર પણ પ્રતિબંધ છે. આ ઉપરાંત ચાઇનીઝ દોરી-ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ મૂકાયો છે.