લખનઉઃ ઉત્તરપ્રદેશ કોગ્રેસ કમિટીએ ગેરશિસ્તના આરોપમાં પોતાના 10 દિગ્ગજ નેતાઓને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે. પાર્ટીમાંથી હાંકી  કાઢવામાં આવેલા નેતાઓમાં ત્રણ પૂર્વ ધારાસભ્ય, બે પૂર્વ મંત્રી, એક પૂર્વ સાંસદ, એક પૂર્વ એમએલસી અને ત્રણ અન્ય નેતાઓ સામેલ છે. આ નેતાઓને પાર્ટીમાં અનુશાસન સમિતિએ નોટિસ મોકલી હતી પરંતુ જવાબથી સંતોષ ના થતાં પાર્ટીએ તેઓને છ વર્ષ માટે બહાર કરી દીધા છે.


એક રિપોર્ટ અનુસાર, કોગ્રેસે જે નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે તેમાં પૂર્વ સાંસદ સંતોષ સિંહ, પૂર્વ એમએલસી સિરાજ મહેંદી, ઉત્તર પ્રદેશના પૂર્વ ગૃહમંત્રી રામકૃષ્ણ દ્વિવેદી, પૂર્વ મંત્રી સત્યદેવ ત્રિપાઠી, રાજેન્દ્ર સિંહ સોલંકી, પૂર્વ ધારાસભ્ય ભૂધર નારાયણ મિશ્રા, પૂર્વ ધારાસભ્ય વિનોદ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય નેક ચંદ્ર પાંડેય, સ્વયં પ્રકાશ ગોસ્વામી અને સંજીવ સિંહનો સમાવેશ થાય છે.

કોગ્રેસની અનુશાસન સમિતિએ આ નેતાઓને લખેલા પત્રમાં કહ્યુ હતું કે, છેલ્લા કેટલાક સમયથી તમે ઉત્તરપ્રદેશ કોગ્રેસ કમિટી સાથે સંબંધિત અખિલ ભારતીય કોગ્રેસના નિર્ણયોનો સાર્વજનિક રીતે વિરોધ કર્યો છે. જેનાથી મીડિયામાં તમારા નિવેદનથી પાર્ટીની છબિ ખરાબ થઇ છે.