મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના નવા 3390 કેસ સામે આવ્યા છે. જ્યારે 120 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,07958 પર પહોંચી છે. આ વાયરસના કારણે અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 4000 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.


મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 1395 પોઝિટિવ કેસ
મુંબઈમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. રાજ્યના 50 ટકાથી વધુ કેસ અહીંથી આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાના 1395 પોઝિટિવ કેસ નોંધાયા છે.જ્યારે 79 લોકોના મોત થયા છે. આ સાથે જ શહેરમાં સંક્રમિતોની સંખ્યા 58 હજારને પાર પહોંચી છે, જેમાં 28959 એક્ટિવ કેસ છે. મુંબઈમાં 26986 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. જ્યારે 2190 લોકોના મોત થયા છે.

છેલ્લા ઘણા સમયથી મુંબઈની ધારાવીમાં કોરોનાનો કહેર હતો. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી અહીં ઘણો સુધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં અહીં માત્ર 13 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અહીં કુલ સંક્રમિતોની સંખ્યા 2,043 થઈ ગઈ છે. જેમાંથી 77 લોકોના મોત થયા છે.

દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 11 હજાર 502 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે છેલ્લા એક દિવસમાં 325 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 9520 પર પહોંચી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં ત્રણ લાખ 32 હજાર 434 કેસ સામે આવ્યા છે.