મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ બાદ સોમવારે કપૂર હોસ્પિટલે રિપોર્ટ જાહેર કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શ્વાસ રૂંધાવાના કારણે સુશાંતનું મોત થયું છે. ફાંસીથી લટકવાને કારણે તેનો શ્વાસ રૂંધાયો હતો. આ રિપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો હતો.


સુશાંત સિંહના વિસેરા સેમ્પલને કેમિકલ એનાલિસિસ માટે રાખવામાં આવ્યા છે અને તપાસ માટે ફોરેંસિક સાયન્સ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ત્રણ સદસ્યોની ડોક્ટરની ટીમે તેનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ફાંસીના કારણે શ્વાસ રૂંધાયો જેના કારણે તેનું મોત નિપજ્યું છે. પરંતુ તેના પરિવારજનોનું કહેવું છે કે, સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કરી શકે નહીં.

સુશાંત સિંહ રાજપૂતના પરિવારના સદસ્યો પટનાથી મુંબઈ પહોંચ્યા હતા. આજે સુશાંતના અગ્નિ સંસ્કાર કરવામાં આવશે. સુશાંત સિંહે આત્મહત્યા કરવાનું હજુ કારણ અકબંધ છે. પોલીસને તેના ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી. પરંતુ પોલીસે તેના જરૂરી સામાન જેવો કે મોબાઈલ અને મેડિકલ રિકોર્ડને ઈન્વેસ્ટિગેશન માટે પોતાની પાસે રાખ્યા છે.