નવી દિલ્હીઃ કોરોના ફેલાવવાના ખતરા વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારની સૌથી મોટી ચિંતા એ લોકોની દેખરેખને લઇને છે જે 18 જાન્યુઆરીથી 23 માર્ચ વચ્ચે વિદેશ પ્રવાસ પરથી ભારત પરત ફર્યા હતા. પરંતુ એમાંથી કેટલાક લોકો કેન્દ્રિય એજન્સીઓ અને રાજ્ય એજન્સીઓની રડારની બહાર છે.


શુક્રવારે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ કહ્યું છે છેલ્લા લગભગ બે મહિનામાં 15 લાખથી વધુ લોકો વિદેશનો પ્રવાસ કરીને ભારત આવ્યા છે પરંતુ ભારત સરકારે જે લોકો પર દેખરેખ રાખી છે તેની સંખ્યા ઓછી છે. હવે કેન્દ્ર સરકારે કહ્યું કે આ અંતર ગંભીર છે અને એવા લોકો સરકારના કોરોના ફેલાવતા રોકવાના પ્રયાસો પર પાણી ફેરવી શકે છે.

તેમણે કહ્યું કે, ભારત સરકારે 18 જાન્યુઆરીથી વિદેશ પ્રવાસ પરથી આવેલા લોકો પર દેખરેખ રાખવાની શરૂઆત કરી હતી. 23 માર્ચ સુધી 15 લાખથી વધુ લોકો આ દરમિયાન ભારત પરત આવ્યા છે પરંતુ જે લોકો સરકારની દેખરેખ હેઠળ છે તેની સંખ્યા ઘણી ઓછી છે.