કેન્દ્ર સરકાર સ્ક્રેપિંગ નીતિ તરફ ઝડપથી આગળ વધી રહી છે. સડક પરિવહન, રાજમાર્ગ મંત્રાલયના એક પ્રસ્તાવ મુજબ 1 એપ્રિલ 2022થી 15 વર્ષ જુના વ્હિકલના રજિસ્ટ્રેશનનુ રિન્યુ નહીં કરાવી શકાય. હાલ પરિવહન મંત્રાલય દ્રારા આ મુદ્દે સૂચન માંગાવવામાં આવ્યાં છે. 


જો કેન્દ્ર પરિવહન વિભાગ આ પ્રસ્તાવને મંજૂર કરીને તેને અંતિંમ રૂપ આપશે તો આ વ્યવસ્થા સમગ્ર દેશમાં લાગૂ થઇ જશે. આ પ્રસ્તાવ અમલી થયા બાદ સૌ પ્રથમ સરકારી વાહનો પર આ નિયમ લાગૂ કરવામાં આવશે. 


પરિવહન મંત્રાલયે ટવિટ કરીને જણાવ્યું છે કે, 'એક એપ્રિલ 2022થી સરકારી વિભાગ તેમના 15 વર્ષ જુના વાહનોનું રજિસ્ટ્રેશન નહીં કરાવી શકે. મંત્રાલયે આ નવા નિયમોના મુસદા પર અધિસૂચના 12 માર્ચે જાહેર કરી હતી. આ મામલે 30 દિવસની અંદર ટિપ્પણી અને અભિપ્રાય મંગાવવામાં આવ્યાં છે. 


આ પહેલા 1 ફેબ્રુઆરીએ રજૂ થયેલા સામાન્ય બજેટમાં સરકારે વોલેન્ટ્રી વ્હિકલ સ્ક્રેપિંગ પોલિસીની જાહેરાત કરી હતી. જે મુજબ ખાનગી વાહનોનું 20 વર્ષ બાદ અને વાણિજ્યિક વાહનોનું 25 વર્ષ બાદ ફિટનેસ પરીક્ષણ કરાવવું જરૂરી છે. આ ટેસ્ટ પાસ ન કરનાર વાહન ચલાવવા પર દંડ ભરવો પડશે અથવા તો વાહન જપ્ત કરી લેવામાં આવશે. 


નિતીન ગડકરીએ કહ્યું કે, 15 વર્ષ જૂના વાહનો નવાની તુલનામાં 10થી 12 ટકા વધુ પ્રદૂષણ ફેલાવે છે. તેમણે કહ્યું કે,જૂના વાહન સ્ક્રેપ થતાં નવી ગાડીની ખરીદી વધશે. જેના કારણે ઓટો ઇન્સ્ટ્રીને પણ ફાયદો થશે, ઉપરાંત સ્ક્રેપ થયા બાદ નવું વાહન ખરીદનાર  ગ્રાહકને ખરીદી પર પાંચ ટકા છૂટ મળશે.