અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસ  (corona virus)ના કેસની સંખ્યા ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં નવા 152 કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન 3 લોકોના મૃત્યુ થયા છે. તો હવે અમદાવાદ મહાનગર પાલિકાએ માઇક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારને પણ અપડેટ કર્યાં છે. આજે નવા 12 કન્ટેઈનમેન્ટ વિસ્તારનો ઉમેરો કરવામાં આવ્યો છે. ઉપરાંત 6 સ્થળેથી માઈક્રો કન્ટેઈનમેન્ટ હટાવવામાં આવ્યા છે. આ સાથે શહેરમાં કુલ માઇક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારની સંખ્યા 195 થઈ ગઈ છે.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાંથી દૂર કર્યા છે તેમાં દક્ષિણના બે, ઉત્તર પશ્ચિમનાં બે, દક્ષિણ  પશ્ચિમના એક અને ઉત્તરના એક વિસ્તારનો સમાવેશ થાય છે.



જ્યારે નવા 12 કન્ટેઈનમેન્ટ વિસ્તારનો ઉમેરો કરવામાં આવ્યો છે તેમાં દક્ષિણના બે, પૂર્વના બે, મધ્ય અમદાવાદના એક, ઉત્તર પશ્ચિમના ત્રણ, દક્ષિણ પશ્ચિમના બે અને પશ્ચિમના બે વિસ્તારનો સમાવેશ થાય છે.

ગઈકાલે રાજ્ય સરકારે બહાર પાડેલા આંકડા અનુસાર, 24 કલાકમાં નવા 902 કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 42808 થઈ ગઈ છે. જ્યારે વધુ 10 લોકોનાં મોત થયા છે અને 608 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં મૃત્યુઆંક 2057 પર પહોંચ્યો છે. અત્યાર સુધી કુલ 29806 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.