નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આ વખતે દશેરાની ઉજવણી લખનઉમાં કરશે, જે પ્રથમ વખત હશે કે પીએમ દશેરા પર લખનઉમાં હશે. તેઓ એશબાગ રામલીલામાં ઉપસ્થિત રહેશે.


પોતાના અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ દિલ્લીમાં સુભાષ મેદાનમાં દશેરાની ઉજવણી કરી છે, પરંતું આ વખતે 11 ઓક્ટોબરના તેઓ લખનઉમાં ઉપસ્થિત  રહેશે. આગામી વર્ષે યુપીમાં વિધાનસભાની ચૂંટણી છે, જેના ભાગરૂપે પ્રધાનમંત્રી મોદી ચૂંટણીની તૈયારીને લઈને લખનઉમાં ઉજવણી કરશે તેમ માનવામાં આવી રહ્યું છે.

ગયા વર્ષે દશેરા પર પ્રધાનમંત્રી મોદીને આમંત્રણ આપવાના વિરોધમાં કૉંગ્રેસ નેતા જે પી અગ્રવાલે રામલીલા મેદાન કમિટીના મુખ્ય સંરક્ષક પદ પરથી રાજીનામું આપ્યું હતું. જે પી અગ્રવાલ નહોતા ઈચ્છતા પીએમ મોદીને દશેરા પર બોલાવવામાં આવે. વર્ષ 2014માં કમિટીએ  પીએમ મોદીને દશેરા પર આમંત્રણ નહોતું આપ્યું, તેમની જગ્યાએ કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને આમંત્રણ પાઠવ્યું હતું.