નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં શનિવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અહીં પુલવામાના અવંતીપોરાના પંજગામ ગામમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યાં હતા. આ બંને આતંકી એક ઘરમાં છુપાયા હોવાની બાતમી મળતાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં બંને આતંકીને ઠાર માર્યા હતાં. આતંકવાદીઓ જે ઘરમાં છુપાયા હતા તેને સેનાએ ફૂંકી માર્યું હતું. એક આતંકીનું નામ શૌકત અહેમદ ડાર છે જે પંજગામ ગામનો રહેવાસી છે. અન્ય આતંકીઓ અહીં છુપાયા હોવાની આશંકામાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ રાખ્યું છે.

આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં પણ સુરક્ષા દળોની આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ છે. સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે. આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી અંગે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તે દરમિયાન આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ થઈ ગઈ હતી.