મુંબઈ: દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. મુંબઈમાં કોરોના વાયરસના 218 નવા કેસ નોંધાયા છે અને 10 લોકોના મોત થયા છે. મુંબઈમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 993 પર પહોંચી છે. મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 64 પર પહોંચ્યો છે.




કોરોના વાયરસના કારણે દેશમાં કુલ 206 લોકોના મોત થયા છે, જ્યારે સંક્રમિત દર્દીઓની સંખ્યા 6761 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 668 નવા કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. અત્યાર સુધીમાં 516 દર્દીઓ સ્વસ્થ થયા છે. કોરોના વાયરસની દુનિયાભરમાં 16 લાખથી વધુ લોકો સંક્રમિત છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 95 હજારથી વધુના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કોરોના સામેની લડાઇ માટે 15 હજાર કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ મદદ રાજ્યોને આપવામાં આવશે. સ્વાસ્થ્ય વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે ગુરુવારે કોરોના વાયરસના 16 હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે તેમાંથી 2 ટકા પોઝિટીવ નોઁધાયા છે એટલે કે 320 ટેસ્ટ પોઝિટીવ નોંધાયા હતા. તેમણે કહ્યું કે, દેશમાં 146 સરકારી અને 76 પ્રાઇવેટ લેબમાં કોરોનાનો ટેસ્ટ થઇ રહ્યો છે.