નવી દિલ્હીઃ શનિવારે હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના મુખ્ય ટુરિસ્ટ સ્થળોએ ભારે હિમવર્ષા થઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હિમાચલમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 24 ઈંચ બરફ ડેલહાઉસીમાં પડ્યો છે. ત્યાર બાદ કુફરીમાં 8 ઈંચ, મનાલીમાં 4 ઈંચ અને શિમલામાં 3 ઈંચ હિમવર્ષા થઈ હતી.

હિમવર્ષાના લીધે હિમાચલ પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં પારો શૂન્ય ડિગ્રી આસપાસ પહોંચી ગયો હતો. આ ઉપરાંત ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે સહિત 300 રોડ પર ટ્રાફિક બંધ થઈ ગયો હતો. હરિપુરધારમાં લગભગ 200 ટૂરિસ્ટ ફસાઈ ગયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. પીવાના પાણીનો સપ્લાય જામી ગયો છે. ચંબામાં પ્રશાસને એલર્ટ જાહેર કરીને લોકોને ઘરેથી બહાર ન નિકળવાની સલાહ આપી છે. આ સમયે યોજાનારી દરેક પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્યમાં ભારે વરસાદ અને હિમવર્ષાના કારણે ધારાસભ્યો સમયસર વિધાનસભા પહોંચી શક્યા નહતાં જેને લઈને વિધાનસભા પણ અડધો કલાક મોડી શરૂ થઈ હતી. આ દરમિયાન હસન વૈલી, કુફરી, ફાગુ, નારકંડામાં ફરવા આવેલા મહારાષ્ટ્રના 170 વિદ્યાર્થીને પણ સુરક્ષિત સ્થળે લઈ જવાયા હતા જ્યારે અહીં 300 જેટલા વાહનો પણ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે.

ધુમ્મસનો સામનો કરી રહેલા શ્રીનગરમાં 7 દિવસ બાદ ફરી ફ્લાઈટ ઓપરેશન શરૂ થયું છે. જોકે, જમ્મુથી વૈષ્ણોદેવીની હેલિકોપ્ટર સેવા હજુ 3 દિવસ બંધ રાખવામાં આવી છે. લદ્દાખ ક્ષેત્રમાં દ્રાસનું તાપમાન સૌથી ઓછું -11 ડિગ્રી રહ્યું છે. મેદાની વિસ્તારોમાં રાજસ્થાનના સિકરમાં શનિવારે સૌથી વધુ 4 ડિગ્રી ઠંડી રહી હતી.

હવામાન વિભાગના કહેવા મુજબ, આગામી 24 કલાકમાં પંજાબ, હરિયાણા, યુપી, બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર સહિત 15 રાજ્યમાં કડાકા સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. દિલ્હી સહિત 5 રાજ્યમાં ધુમ્મસ વધી શકે છે. ઉત્તર ભારતમાં તાપમાન 2થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે.

હિમાચલના મંડીના ઘણા વિસ્તારોમાં લગભગ 40 વર્ષ બાદ સ્નોફોલ જોવા મળ્યો છે. આ જિલ્લાના પ્રસિદ્ધ પરાશર તળાવમાં આ સીઝનની પહેલી હિમવર્ષા થઈ છે. તે સિવાય શિકારી દેવી, કમરુનાગ ઘાટી અને સરાજ વેલીમાં 2-3 ફુટ બરફ પડ્યો છે. હવામાન વિભાગે કહ્યું છે કે, 16 ડિસેમ્બરથી લોકોને ઠંડીમાં રાહત મળશે.