નવી દિલ્હીઃ ભારતના 25 વિદ્યાર્થીઓ ચીનના કોરોના વાયરસ પ્રભાવિત શહેર વુહાનમાં ફસાઈ ગયા છે. વાયરસને બહાર ફેલાતા રોકવા વુહાનના લોકોને બહાર જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યાં ફસાયેલ 25માંથી 20 વિદ્યાર્થીઓ કેરળના છે. કોરોના વાયરસનું ફેલાવવું ભારત માટે ચિંતાનો વિષય એટલા માટે પણ છે કારણ કે અંદાજે 700 ભારતીય વિદ્યાર્થીઓ વુહાન અને આસપાસના વિસ્તારમાં રહે છે. આ વિદ્યાર્થીઓ મોટેભાગે ચીનની યૂનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કરે છે. ચીનમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે, અને તેનાથી 830 લોકો પીડિત હોવાની પુષ્ટિ થઈ છે.


મુંબઇના અધિકારીઓએ કહ્યું કે છેલ્લાં 60 કલાકમાં વુહાન અને ચીનના અન્ય ભાગમાંથી પાછા આવેલા પાંચ ભારતીયોની ઊંડી તપાસ ચાલી રહી છે. તેમાંથી બે લોકોને તાવ-શરદી છે, આથી તેમને કસ્તૂરબા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અધિકારીઓએ કહ્યું કે તેમને નજીવો તાવ અને શરદી સિવાય બીજા કોઇ લક્ષણ દેખાતા નથી. એપિડોમિઓલિજિસ્ટ ડૉ. પ્રદીપ આવટે એ કહ્યું કે આ બંને કોરોના વાયરસથી મુકત છે.

ભારત સરકારે કહ્યું કે સાઉદી અરબમાં કામ કરનાર કેરળની એક નર્સ વાયરસથી પ્રભાવિત થયાની આશંકા હતી પરંતુ તપાસ કરાઇ તો તે સ્વસ્થ છે. વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરણે ગુરૂવારના રોજ ટ્વીટ કરી કહ્યું હતું કે કેરળના એક નર્સ અસીર નેશનલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જો કે લોકસભા સાંસદ એન્ટો એન્ટનીએ સાઉદી અરબમાં ભારતીય દૂતાવાસના એક વોલિન્ટિઅરની સાથે સાઉદી અરબની હોસ્પિટલમાં દાખલ નર્સના ખબર અંતર પૂછયા હતા. તેમણે કહ્યું કે તેઓ કોરોના વાયરસથી અછૂત છે અને તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરાઇ ચૂકયા છે. બાદમાં સાઉદી અરબના ડૉકટરે પણટ્વીટ કરી પુષ્ટિ કરી કે કેરળના આ નર્સ MERS-CoVથી પીડિત છે, નહીં કે કોરોના વાયરસથી.