નવી દિલ્લીઃ કેંદ્ર સરકારે 25 NGO ની વિદેશી ભંડોળ બાબતે એફસીઆરએના લાયસંસ દેશદ્રોહની ગતિવિધિઓના કારણે રદ કરી દીધો છે. આ NGO ના નામ જાહેર નથી કરવામાં આવ્યા.  ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર NGO ની કામગીરી રાષ્ટ્ર વિરોધી એફસીઆરએની જોગવાઇઓની વિરુદ્ધના છે. જ્યારે 11,319 સંગઠનોના રિન્યૂઅલની અરજી નહીં મળવાને કારણે રદ કરી દવામાં આવી છે. આ સંગઠનોમાં અદાણી ફાઉન્ડેશનનું નામ હોવાની પણ સંભાવના હોવાનું માનવામાં આવી રહ્યું છે. સંગઠનોએ લાયસંસ રિન્યૂ કરવાની છેલ્લી તારીખ 30 મી જૂન સુધી એફસીઆરએ રજીસ્ટ્રેશનના રિન્યૂની અરજી જમા કરાવી નથી. પહેલી નબેમ્બરથી આ સંગઠનોનું રજીસ્ટ્રેશન રદ ગણાવામાં આવશે.


એફસીઆરએ રજીસ્ટ્રેશનના રિન્યૂઅલની મળેલી 16,491 અરજીમાંથી 14,730 અરજી મંજૂર કરવામાં આવી છે. 2015માં 10,000 એનજીઓનું એફસીઆરએ રજીસ્ટ્રેશન રદ થયું હતું. વિદેશી ભંડોળ મેળવવા માટે મંજૂરી મેળવેલા સંગઠનોની સંખ્યા હવે 20,500 રહી ગઇ છે. બે વર્ષ પહેલા સંખ્યા 42,500 હતી. દર પાંચ વર્ષે એફસીઆરએ લાઇસન્સ રિન્યૂ કરાવવું પડે છે.
ઘણા પ્રતિષ્ઠિત એનજીઓના લાઇસન્સ અટક્યા

રિન્યૂ કરવાની અરજી નહીં કરવાને કારણે જેમની માન્યતા રદ થઇ છે એવા સંગઠનોમાં આશરે 50 અનાથાલય, સેંકડો સ્કૂલ અને ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટયુટ જેવી ઘણી સંસ્થાઓ અને નિરાશ્રિત બાળકો માટે કામ કરનારા ઘણા જાણીતા એનજીઓનો સમાવેશ થાય છે. નિર્ધારિત સમય મર્યાદામાં પુરતા દસ્તાવેજ જમા નહીં કરાવાને કારણે 1736 સંસ્થાઓના લાઇસન્સ સામે સમસ્યા સર્જાઇ છે. આવી સંસ્થાઓમાં રામકૃષ્ણ મિશન, માતા અમૃતાનંદમયી મઠ, કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનના એકમોનો સમાવેશ થાય છે. સંસ્થાઓ પાસેથી જરૂરી દસ્તાવેજો 8 નવેમ્બર સુધી ઇમેલથી મોકલવાનું જણાવવામાં આવ્યું છે. તારીખ પછી તેમનું રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવશે.