શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી હિમવર્ષા થઈ રહી છે. ત્યારે કુપવાડાના માછિલ સેક્ટરમાં હિમપ્રાતના કારણે 4 જવાન શહીદ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે બે જવાન ગુમ થયા છે. માછિન સેક્ટરમાં સેનાની ઘણી ચોકીઓને હિમપ્રાતના કારણે નુકસાન પહોંચ્યું છે. સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આવી જ એક ચોકીમાં સેનાના 5 જવાનો ફસાયેલા છે. ઘાટીમાં હિમપ્રાતના કારણે 5 લોકોનાં મત્યુ થયાના પણ સમાચાર સામે આવ્યા છે. રામપુર અને ગુરેજ સેક્ટરમાં પણ હિમપ્રાતની ઘણી ઘટનાઓ બની છે.

છેલ્લા 48 કલાકમાં ભારે બરફના વરસાદના કારણે ઉત્તર કાશ્મીરમાં ઘણી જગ્યાએ હિમપ્રાતની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. તેમાં 4 જવાન શહીદ થયા હોવાના અહેવા મળી રહ્યાં છે. જ્યારે બે જવાન હજુ પણ ગુમ છે. સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હિમપ્રાતમાં ફસાયેલા ઘણાં જવાનોને બચાવવામાં પણ આવ્યા છે.

આ સિવાય મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સોનમર્ગના ગગ્ગેનેર ક્ષેત્રની પાસે કુલાન ગામમાં હિમપ્રાતના કારણે 5 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક લોકોને ઈજાઓ પણ પહોંચી છે. જોકે સેનાએ આ વિસ્તારમાં પણ પોતાનું બચાવ અભિયાન શરૂ કર્યું છે.