કોરોના ટેસ્ટથી બચવા માટે બુધવારે આસામના સિલચર એરપોર્ટ પર 300થી વધારે મુસાફરોએ હંગામો કર્યો અને ત્યાંથી ભાગી ગયા હતા. અધિકારીઓએ ગુરુવારે આ જાણકારી આપી અને કહ્યું આ લોકોની સામે ફોજદારી કાર્યવાહી કરાશે. એક અધિકારીએ જણાવ્યું કે છ ફ્લાઈટમાંથી દેશના અલગ-અલગ ભાગમાં આવેલા કુલ 690 મુસાફરો સિલચર એરપોર્ટ પર પહોંચ્યા હતા.


તેમણે કહ્યું કોવિડ 19ના ટેસ્ટ માટે એરપોર્ટ પર તથા નજીકમાં આવેલી તિકોલ મોડલ હોસ્પિટલમાં આ મુસાફરોના નમૂના લઈ જવાના હતા. અધિકારીએ કહ્યું ટેસ્ટ માટે 500 રુપિયા આપવાને લઈને તમામ 300 મુસાફરોએ આ બંને સ્થળો પર હંગામો કર્યો હતો.



આસામ સરકારે રાજ્યમાં હવાઈ મુસાફરી કરી પહોંચતા તમામ મુસાફરો માટે કોવિડ 19 ટેસ્ટ ફરજીયાત કર્યો છે જે મુજબ રેપિડ એન્ટીજન ટેસ્ટ નિશુલ્ક અને આરટીપીસીઆર  માટે 500 રૂપિયા ચૂકવવા પડે છે. રેપીડ એન્ટીજન  ટેસ્ટમાં નેગેટિવ આવ્યા બાદ પણ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો પડે છે. 


અધિકારીએ કહ્યું અમારી પાસે આ મુસાફરોનો રેકોર્ડ છે અને અમે તપાસ કરશું. કલમ 188 અને અન્ય કલમો મુજબ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. 


અધિકારીએ જણાવ્યું કે 690 મુસાફરોમાંથી 189ના ટેસ્ટ કરાયા જેમાં 6 કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા. ઘણા મુસાફરોને ટેસ્ટમાં છૂટ આપવામાં આવી કારણ કે તેઓ આસામની જગ્યાએ મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવા પાડોશી રાજ્યોના હતા.