નવી દિલ્હી: સુપ્રીમકોર્ટે કોરોનાની બેકાબૂ થતી પરિસ્થિતિને લઈને કેંદ્ર સરકારને નોટિસ મોકલી છે. સુપ્રીમ કોર્ટે ઓક્સીજન, દવાઓની ઘટ અને રસીકરણના મુદ્દાઓ પર નેશનલ પ્લાન માંગ્યો છે. કોર્ટે કેન્દ્રને પૂછ્યું છે કે તેમના પાસે કોવિડ-19થી ઉગારવા માટે શું નેશનલ પ્લાન છે. સુપ્રીમ કોર્ટે ચાર મહત્ત્વના મુદ્દા પર કેન્દ્ર સરકાર પાસે નેશનલ પ્લાન માગ્યો છે.  લોકડાઉન કરવાનો અધિકાર માત્ર રાજ્ય સરકારને જ હોય, કોર્ટને નહિ. હવે આ મામલાની આગામી સુનાવણી શુક્રવારે હાથ ધરાશે.



દેશમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના સંક્રમણની જે સ્થિતિ બની રહી છે. દર્દીઓ બેડથી લઈને ઓકસીજન અને રેમડેસીવીર સહિતની દવાઓ વેન્ટીલેટર માટે ભટકે છે અને તરફડીયા મારે છે. 


ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેની ખંડપીઠે દેશમાં ઓકસીજનની આટલીતંગી કેમ છે, કોરોના સામે રેમડેસીવીર સહિતની જીવનરક્ષક દવાઓની તંગી શા માટે છે. દેશમાં વેકસીનેશનની પ્રક્રિયા શું છે અને હાલ સ્થિતિ શું છે તે મુદે કેંદ્ર પાસે જવાબ માંગ્યા છે ઉપરાંત જે રીતે ઉતરપ્રદેશમાં હાઈકોર્ટ સ્થિતિની ગંભીરતા પારખીને લખનઉ સહિતના પાંચ શહેરોમાં લોકડાઉન લાદવા આદેશ આપ્યો અને યોગી સરકારે તેનો અમલ કરવાના બદલે સુપ્રીમકોર્ટમાં જઈને સ્ટે મેળવ્યો તેથી હવે અદાલતને લોકડાઉન લાદવાનો અધિકાર છે કે કેમ તે પણ મુદો સુપ્રીમ કોર્ટ ચકાસશે અને તેના પર આવતીકાલે સુનાવણી થશે. 


હરીશ સાલ્વેને એમ્બીચ કયુરી તરીકે નિયુકત કર્યા છે અને સોલીસીટર જનરલ તુષાર મહેતાને કેંદ્રના જવાબ રજુ કરવા માટે જણાવ્યું છે. દેશની વિવિધ અદાલતો કોરોના કામગીરી અંગે રાજય સરકારોની આકરી ટીકા કરી રહી છે તે સમયે હવે સર્વોચ્ચ અદાલતે હવે મામલો હાથમાં લેતા કેન્દ્ર અને રાજય સરકારો પર મોટી તવાઈ આવી જશે તેવા સંકેત છે.


દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,14,835 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2104 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,78,841 લોકો ઠીક પણ થયા છે.  અત્યાર સુધી કોઈ એક દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓની આ સંખ્યા સૌથી વધુ છે. આ અગાઉ 8મી જાન્યુઆરીએ અમેરિકામાં 3 લાખ 7 હજાર લોકો પોઝિટિવ મળ્યા હતા. ભારતે આજે કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં વર્લ્ડ રેકોર્ડ તો બનાવી દીધો છે અને આગામી દિવસોમાં પણ આ રેકોર્ડ તૂટતો રહેશે.


 


સતત આઠમાં દિવસે બે લાખથી વધુ કેસ


 


દેશમાં સતત આઠમા દિવસે કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને બીજા દિવસે 2000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 22 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.