નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની ખંડપીઠ આજે અયોધ્યા વિવાદ પર ચૂકાદો આપશે. અયોધ્યા કેસ અંગે કોર્ટે તેનું શેડ્યુલિંગ કરી લીધું છે. સવારે 10.30 વાગે જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી કમિટી સુનાવણી હાથ ધરશે. કમિટીએ 40 દિવસ સુધી હિન્દુ અને મુસ્લિમ પક્ષની દલીલ સાંભળ્યા બાદ આ ચુકાદો આપવામાં આવી રહ્યો છે.

અગાઉ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગાઈની ઉતર પ્રદેશના મુખ્ય સક્રેટરી આર.કે.તિવારી, ડીજીપી ઓમપ્રકાશ સિંહ સહિત ઘણાં વરિષ્ઠ અધિકારીઓએ મુલાકાત કરી હતી. આ દરમિયાન ચીફ જસ્ટિસે અયોધ્યા કેસમાં ચૂકાદો આવતાં પહેલા રાજ્યની સુરક્ષાની તૈયારીઓને લઈને ચર્ચા કરી હતી. ખંડપીઠની અધ્યક્ષતા કરી રહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ 17 નવેમ્બરે રિટાયર્ડ થવાના છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ બોબડે, જસ્ટિસ ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ SA નઝીર અયોધ્યા કેસનો આજે ચૂકાદો સંભળાવશે. ચુકાદાને લઈને તમામ જગ્યાએ એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

અયોધ્યામાં વિવાદી સ્થળે જતાં રસ્તા સીલ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક લોકોને પણ ઓળખપત્ર અને વાહનોની કડક ચકાસણી બાદ જ અયોધ્યામાં ઘૂસવા દેવામાં આવે છે. બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. શહેરમાં અને તમામ રસ્તા પર બેરિકેટ લગાવાયા છે. ગ્રામીણ વિસ્તારમાં પણ પોલીસ મૂકાઈ છે.