નવી દિલ્હીઃ ભારતીય રેલવેમાં નોકરીની ઇચ્છા રાખનારી મહિલાઓ માટે ખુશીના સમાચાર છે. વાસ્તવમાં કેન્દ્રિય રેલવે મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી હતી કે રેલવેમાં થનારી 9000થી વધુ કોન્સ્ટેબલો અને સબ ઇન્સ્પેક્ટરના પદોની ભરતીમાં મહિલાઓને 50 ટકા પદ આપવામાં આવશે. એટલે કે 50 ટકા પદો પર ફક્ત મહિલાઓની ભરતી કરવામાં આવશે. નોકરી કરવા માંગતી મહિલાઓ માટે સારો અવસર સાબિત થશે.


નોંધનીય છે કે જાન્યુઆરી 2019માં ભારતીય રેલવેએ 2021 સુધી 10 ટકા અનામત હેઠળ 4 લાખથી વધુ લોકોને રોજગાર આપવાના નિર્ણયની જાહેરાત કરી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે ભરતીની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ગોયલે કહ્યું હાલમાં ભારતીય રેલવેમાં 15.06 લાખ કર્મચારીઓની સ્વીકૃત સંખ્યા છે જેમાંથી 12.23 લાખ કર્મચારી કાર્યરત છે જ્યારે 2.82 લાખ પદ ખાલી છે.

પિયુષ ગોયલે કહ્યું કે, ગયા વર્ષે અમે 1.51 લાખથી વધુ પદ પર ભરતીની પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાંથી 1.31 લાખ પદ ખાલી રહ્યા હતા. આ સાથે આવનારા બે વર્ષોમાં લગભગ 90 હજાર પદ ખાલી થઇ જશે કારણ કે વર્તમાનમાં કામ કરી રહેલા રેલવેના કર્મચારીઓ નિવૃત થઇ રહ્યા છે.

જાન્યુઆરીમાં રેલવે મંત્રીએ જાહેરાત કરી હતી કે 2.3 લાખ પદ માટે ભરતી આગામી બે વર્ષમાં પુરી કરવામાં આવશે. 1.31 લાખ પદો પર નવી ભરતીના પ્રથમ તબક્કો ફેબ્રુઆરી-માર્ચ 2019માં સરકારની અનામત નીતિ અનુસાર શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના ઉમેદવારો માટે અનામત હતો.