કાશ્મીરઃ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. ત્રાલના અવંતીપોરામાં ચાલી રહેલી અથડામણમાં છ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે અને સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો અને તપાસ અભિયાન શરૂ કર્યું છે.


સુરક્ષા દળોને શનિવારે સવારે ગુપ્ત જાણકારી મળી હતી કે અવંતીપોરામાં આતંકીઓ છૂપાયા છે. જેને પગલે સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ અભિયાન ચલાવ્યું હતું. આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કરી દીધું હતું જેના જવાબમાં સુરક્ષા દળોએ છ આતંકીઓને ઠાર માર્યા હતા. હાલમાં કોઇ જવાનને ઇજા પહોંચી હોય તેની કોઇ જાણકારી મળી શકી નથી.

નોંધનીય છે કે ગયા સપ્તાહમાં પુલવામામાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળોએ મોસ્ટ વોન્ટેડ જહૂર ઠોકર સહિત ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. આ એન્કાઉન્ટર બાદ સુરક્ષાદળો અને સ્થાનિક લોકોમાં સંઘર્ષ થયો હતો જેમાં સાત સ્થાનિક લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન એક જવાન પણ શહીદ થયો હતો. એક રિપોર્ટ અનુસાર, જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ એક વર્ષમાં 250થી વધુ આતંકીઓને ઠાર માર્યા છે. ગયા વર્ષે આ આંકડો 213નો હતો.