નવી દિલ્હીઃ રેલવે બોર્ડના ચેરમેન વી.કે યાદવે કહ્યુ કે, રેલવેએ હાઇ સ્પીડ અને સેમી-હાઇસ્પીડ રેલ કોરિડોર માટે છ સેક્શન નક્કી કર્યા છે જેનો વિસ્તૃત પરિયોજના રિપોર્ટ એક વર્ષમાં તૈયાર થઇ જશે. મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ કોરિડોર પર અગાઉથી નિર્માણ કાર્ય ચાલું થઇ ગયું છે. હાઇ સ્પીડ કોરિડોર પર ટ્રેન 300 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ સ્પીડથી ચાલી શકે છે. જ્યારે સેમી હાઇસ્પીડ કોરિડોર પર ગાડીઓ 160 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે દોડી શકે છે.


સામાન્ય બજેટ અગાઉ પત્રકારો સાથે વાત કરતા યાદવે કહ્યું કે, છ કોરિડોરમાં દિલ્હી-નોઇડા-આગ્રા-લખનઉ-વારાણસી અને દિલ્હી-અમદાવાદ સેક્શન સામેલ છે. અન્ય કોરિડોરમાં મુંબઇ-નાગપુર, મુંબઇ-હૈદરાબાદ, ચેન્નઇ-મૈસૂર અને દિલ્હી-અમૃતસર સામેલ છે.

યાદવે કહ્યું કે, અમે આ છ કોરિડોરને નક્કી કર્યા છે અને તેનો ડીપીઆર વર્ષમાં તૈયાર થઇ જશે. ડીપીઆરમાં  આ માર્ગોનો અભ્યાસ કરવામાં આવશે જેમાં જમીનની ઉપલબ્ધતા અને ત્યાંની વ્યસ્તતા વગેરે સામેલ છે. આ તમામનો અભ્યાસ બાદ અમે નિર્ણય લઇશું કે તે હાઇસ્પીડ છે કે સેમી હાઇસ્પીડ. દેશના પ્રથમ હાઇ સ્પીડ કોરિડોર મુંબઇ- અમદાવાદ પર ભારતની બુલેટ ટ્રેન યોજના ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઇ જશે.