પણજીઃ દેશમાં કોરોનાનો કેર યથાવત છે, અને ઝડપથી સંક્રમિતોની સંખ્યા વધી રહી છે, અગાઉ કોરોના મુક્ત થઇ ચૂકેલા ગોવામાં કોરોના વાયરસથે ફરી પગ પેસારો કર્યો છે. ગોવામાં બુધવારે એક જ દિવસમાં કોરોનાના 47 નવા કેસ નોંધાતા સરકાર અને તંત્રમાં હડકંપ મચી ગયો છે.


બુધવારે સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યુ કે, ગોવામાં એકજ દિવસમાં નવા 47 કોરોના દર્દીઓ મળ્યા છે, દરિયાકાંઠાના આ રાજ્યમાં કોરોના વાયરસે ફરી એકવાર માથુ ઉચક્યુ છે, આની સાથે હવે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા વધીને 126 થઇ ગઇ છે. તેમને કહ્યું ગોવાને એક મહિના પહેલા ગ્રીન ઝૉન જાહેર કરવામાં આવ્યો હતો, ગોવામાં હાલ 69 દર્દીઓ એવા છે તેમની સારવાર ચાલી રહી છે.

47 નવા કેસોમાં એકલા 42 કેસો દક્ષિણ ગોવામાં વાસ્કો નગરના મંગોર હિલ વિસ્તારમાંથી નીકળ્યા છે. અધિકારીએ કહ્યું કે રાજ્ય સરકારે પહેલા મંગોર હિલ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝૉનમાં રાખ્યુ હતુ, અને હવે તપાસ વધારી દીધી છે. અહીં જાહેર કરાયેલા એક મેડિકલ બુલેટીન અનુસાર બે દર્દીઓ મહારાષ્ટ્રથી આવ્યા હતા, ત્રણ અન્ય હવાઇ યાત્રી હતા, તેમાંતી બે દુબઇથી આવ્યા હતા, જ્યારે એક હૈદરાબાદથી આવ્યો હતો.



નવા કેસો સામે આવ્યા બાદ રાજ્યમાં વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે ખેંચાખેંચ શરૂ થઇ ગઇ છે. મંગોર હિલ વિસ્તાર વિવાદનો વિષય બની ગયુ છે. અહીં લગભગ 2000 હજાર ઘરો છે, અને હાલ સ્થાનિક અધિકારીઓએ લોકોને જરૂરી વસ્તુઓ મળી રહે તે માટે પુરતી વ્યવસ્થા કરી છે.

મહત્વનુ છે કે 3 એપ્રિલે આ દરિયાકાંઠાના રાજ્ય ગોવામાં સાતમો અને છેલ્લો કેસ સામે આવ્યો હતો. તમામ દર્દીઓ સારવાર બાદ ઠીક થઇ ગયા હતા, અને દરેકના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. બાદમાં તમામ દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. આમા ગોવા કોરોના મુક્ત રાજ્ય પણ જાહેર થયુ હતુ. આ વાતની જાણકારી તે સમયે ખુદ સ્વાસ્થ્ય મંત્રી રાણે આપી હતી.