નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી વિરૂદ્ધ આજે આમ આદમી પાર્ટી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરશે. અનઅધિકૃત કોલોની મામલે ભાજપના નેતાઓ પર જુઠ્ઠુ બોલવાનો આપે આરોપ લગાવ્યો છે. અનઅધિકૃત કોલોનીમાં ભાજપની વિરુધ્ધમાં દગા દિવસની ઉજવણી કરશે. પાર્ટીના વરિષ્ઠ નેતા અલગ-અલગ કોલોનીમાં પોતાના પ્રચારને આગળ વધારશે.


આમ આદમી પાર્ટીનો આરોપ છે કે કોંગ્રેસની જેમ કેન્દ્ર સરકાર પણ ચૂંટણી પહેલાં અનઅધિકૃત કોલોનીને નિયમિત કરવાના નામે દગો કરવામાં લાગી ચૂકી છે. માલિકી હક આપવાના બદલે ભાજપ ઓનલાઈન રજિસ્ટ્રેશન વહેંચી રહી છે. દિલ્હીવાસીઓને આ દગાની જાણકારી આપવા માટે આજે આપ નેતા રસ્તાઓ પર ઉતરશે.

આમ આદમી પાર્ટી કાર્યાલયમાં મીડિયા સાથેની વાતમાં દિલ્હી પ્રદેશ સંયોજક ગોપાલ રાયે આરોપ લગાવ્યો કે ભાજપના અનઅધિકૃત કોલોનીના લોકો સાથે ખોટું બોલી રહી છે. જે રીતે પહેલાં કોંગ્રેસ સરકારે લોકોને પ્રોવિઝનલ સર્ટિફિકેટ આપ્યા હતા તે રીતે ભાજપ પણ હવે રજિસ્ટ્રીના નામે ઓન લાઈન રજિસ્ટ્રેશન નંબરની વહેંચણી કરી રહ્યું છે.