Delhi: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે શુક્રવારે એક ટ્વીટમાં કહ્યું હતું કે જ્યારથી રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમણે ગુજરાતમાં પ્રચાર કર્યો છે. હવે સંભળાઇ રહ્યું છે કે આ લોકો રાઘવ ચઢ્ઢાની પણ ધરપકડ કરશે. કયા કેસમાં તેઓ શું આરોપો લગાવશે તે આ લોકો તૈયાર કરી રહ્યા છે. વાસ્તવમાં દિલ્હીની દારૂની નીતિ પર થયેલી કાર્યવાહી પર આમ આદમી પાર્ટી અને ભાજપ આમને-સામને છે. આ અઠવાડિયે સીબીઆઈએ કથિત લીકર પોલિસી કૌભાંડમાં વિજય નાયરની ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ કેજરીવાલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડની આશંકા વ્યક્ત કરી હતી.






કોણ છે રાઘવ ચઢ્ઢા?


17 સપ્ટેમ્બરના રોજ, આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને ગુજરાતમાં પાર્ટી બાબતોના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતા. આ પછી ચઢ્ઢા ગુજરાત પહોંચ્યા હતા અને કહ્યું હતું કે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છે છે. તેઓ ભાજપના 27 વર્ષના શાસનથી પરેશાન છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ જૂની થઈ ગઈ છે અને તે ભાજપને સત્તા પરથી દૂર કરી શકતી નથી. તેમણે કહ્યું હતું કે હવે અરવિંદ કેજરીવાલ એકમાત્ર વિકલ્પ છે.પંજાબ વિધાનસભા ચૂંટણીમાં રાઘવ ચઢ્ઢાએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.તેઓ પંજાબના પ્રભારી પણ છે. પંજાબમાં AAPએ 117 વિધાનસભા બેઠકોમાંથી 92 બેઠકો જીતી હતી.


એલજીએ એક્સાઈઝ પોલિસીની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી


22 જૂલાઈના રોજ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ દિલ્હીની એક્સાઇઝ નીતિની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. આ પછી દિલ્હી સરકારે તેની એક્સાઇઝ પોલિસી પાછી ખેંચી લીધી. આ કેસમાં 19 ઓગસ્ટના રોજ સીબીઆઈએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને કેટલાક અધિકારીઓના ઘર પર દરોડા પાડ્યા હતા. બાદમાં ઇડી પણ આ તપાસમાં સામેલ થઇ હતી.


સીબીઆઈએ આ અઠવાડિયે વિયજ નાયરની ધરપકડ કરી હતી. સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં તે નંબર પાંચ આરોપી છે. AAPએ તેમની ધરપકડનો વિરોધ કર્યો હતો. પાર્ટીએ કહ્યું કે નાયર તેમની પાર્ટીના કાર્યકર છે. તે પાર્ટીના પ્રચાર અભિયાનની રણનીતિ બનાવે છે. તેમણે પંજાબમાં ચૂંટણી પ્રચારની રણનીતિ બનાવી હતી. પાર્ટીએ કહ્યું કે હવે તેઓ ગુજરાત માટે પ્રચાર કરવાની નીતિ બનાવી રહ્યા છે. તેનાથી ભાજપ ડરી ગયો છે. એક દિવસ પછી EDએ દારૂના વેપારી સમીર મહેન્દ્રુની ધરપકડ કરી. મની લોન્ડરિંગના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.