AAP Rajya Sabha MP: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલના જલંધર સ્થિત ઘરે દરોડા પાડ્યા છે. મિત્તલને તાજેતરમાં રાઘવ ચઢ્ઢાના સ્થાને AAPના રાજ્યસભાના નાયબ નેતા બનાવવામાં આવ્યા છે. સમાચાર એજન્સી ANI એ અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ના કથિત ઉલ્લંઘન માટે AAP રાજ્યસભાના સાંસદ અને ઉપનેતા ડૉ. અશોક કુમાર મિત્તલ સાથે જોડાયેલા અનેક પરિસરોમાં દરોડા પાડ્યા છે.
ભગવંત માને સાધ્યું નિશાન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ ED ની કાર્યવાહી અંગે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું છે કે, "ભાજપ દ્ધારા પંજાબ ચૂંટણીની તૈયારીઓ શરૂ. ED એ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલના ઘર અને યુનિવર્સિટી પર દરોડા પાડ્યા.
અશોક કુમાર મિત્તલ કોણ છે?
અશોક મિત્તલ પંજાબમાં લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના સ્થાપક છે, જે પંજાબની પ્રથમ ખાનગી યુનિવર્સિટી છે. તેઓ એક શિક્ષણવિદ અને સામાજિક કાર્યકર તરીકે ઓળખાય છે. રાજકારણીમાંથી શિક્ષણવિદ બનેલા અશોક કુમાર મિત્તલે 2022માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ એપ્રિલ 2022 માં રાજ્યસભાના સાંસદ બન્યા. ત્યારથી તેમણે સંરક્ષણ સમિતિ, નાણાં સમિતિ અને ફેબ્રુઆરી 2026માં રચાયેલી સમિતિ સહિત અનેક સંસદીય સમિતિઓમાં સેવા આપી છે.
તેમને ભારત-અમેરિકા સંસદીય મિત્રતા જૂથના સભ્ય તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે પહલગામ આતંકવાદી હુમલા બાદ તેઓ રશિયા, લાતવિયા, સ્લોવેનિયા, ગ્રીસ અને સ્પેનની મુલાકાત લેનારા ડીએમકે સાંસદ કનિમોઝીના નેતૃત્વ હેઠળના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનો ભાગ હતા.
