નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડૂએ કહ્યું કે, દેશની અખંડિતતા અને એકતા માટે આ જરૂરી હતું. નાયડૂએ કહ્યું કે, આ સાંપ્રદાયિક નહી પરંતુ દેશની સુરક્ષા માટે ઉઠાવવામાં આવેલુ પગલું છે. ચંડીગઢ સ્થિત પંજાબ યુનિવર્સિટીમાં ભાષણ આપતા નાયડૂએ કહ્યું કે કલમ 370ને રદ કરવી દેશની અખંડિતતા અને એકતા માટે સમયની માંગ છે. જમ્મુ કાશ્મીરનું ભારતમા વિલય અટલ છે. કલમ 370 ફક્ત એક અસ્થાયી જોગવાઇ હતી. આપણે કોઇને પણ ભારતમાં આંતરિક મામલામાં દખલ કરવા નહી દઇએ.


તેમણે કહ્યું કે, 27 નવેમ્બર 1963ના રોજ કલમ 370ને રદ કરવાના મુદ્દા પર તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ કહ્યુ હતું કે, કલમ 370 ફક્ત એક અસ્થાયી જોગવાઇ છે. આ બંધારણનો સ્થાયી ભાગ નથી. આખો દેશ કલમ 370ને રજ કરવાથી ખુશ છે. આ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાનો મુદ્દો છે. આ વિષય સાંપ્રદાયિક નથી. નોંધનીય છે કે છેલ્લા દિવસોમાં કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો કલમ 370 હટાવવાનું બિલ પાસ કર્યુ હતું. સાથે જ જમ્મુ કાશ્મીર અને લદાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો હતો.