ચેન્નઇઃ તમિલ સુપરસ્ટાર રજનીકાંતે રવિવારે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી 2019 લોકસભા ચૂંટણી લડશે નહીં. રજનીકાંતે 2017માં રજની મક્કલ મંદરમ (રજની પીપલ્સ ફોરમ) નામની પાર્ટી બનાવી હતી અને તમિલનાડુમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના 234 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. એએનઆઇના મતે, રજનીકાંતે નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે કોઇ પણ પ્રચાર માટે તેમની પાર્ટી કે પાર્ટીના પ્રતીકનો ઉપયોગ નહી કરવાની સલાહ આપવામાં આવી છે.


નોંધનીય છે કે એમજી રામચંદ્રને મુખ્યમંત્રી બન્યા અગાઉ કોગ્રેસ અને ડીએમકેમાં 24-25 વર્ષની સફર પસાર કરી હતી. રજનીકાંત પર એક ચેનલે સર્વે કર્યો હતો જેમાં તેમને 16 ટકા લોકોએ સમર્થન આપ્યું હતું. એમજીઆર અને જયાને 35-57 ટકા લોકોએ મત આપ્યા હતા.


રજનીકાંતની ફિલ્મી સમર્થકોની સંખ્યા ઓછી નથી પરંતુ ચૂંટણીમાં દ્રવિડનો મુદ્દો મજબૂત રહ્યો છે. મૈસૂરમાં મરાઠી પરિવારમાં જન્મેલા રજની માટે દ્રવિડની રાજનીતિનો વિકલ્પ બનવું કઠીન છે. ત્યાં રામચંદ્રન સહિત અનેક બીજા રાજ્યોથી તમિલનાડુમાં આવીને વસેલા નેતા સીએમ બન્યા છે પરંતુ તે તમામ તમિલ હતા. રાજ્યમાં કોગ્રેસની હાલત ખરાબ છે તો ભાજપ શરૂઆતમાં જગ્યા શોધી રહી છે.