નવી દિલ્હીઃ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને ચારે બાજુથી ઘેરવાનું શરૂ કરી દીધું છે. ભારત સરકારે મોટો ફેંસલો લેતાં પાકિસ્તાનથી આયાત થતી તમામ વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટીમાં 200 ટકા વધારો કરી દીધો છે. જેના કારણે પાકિસ્તાનના અર્થતંત્રને મોટો ફટકો પડશે. ભારતના ફેંસલાથી પાકિસ્તાનને 48.8 કરોડ ડોલરનો ઝટકો લાગી શકે છે.


નાણા મંત્રી અરૂણ જેટલીએ ટ્વિટ કરીને કહ્યું કે, પુલવામામાં થયેલી ઘટના બાદ ભારતે પાકિસ્તાનને આપેલો MFNનો દરજજો પરત લઈ લીધો છે. તાત્કાલિક અસરથી પાકિસ્તાનમાંથી ભારતને નિકાસ કરવામાં આવતી તમામ વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટીમાં 200 ટકા વધારો કરી દેવામાં આવ્યો છે. ભારતે પાકિસ્તાનથી 2017-18માં 48.8 કરોડ ડોલરની આયાત કરી હતી જ્યારે 1.92 અબજ ડોલરની નિકાસ કરી હતી. ભારત પાકિસ્તાનને ટામેટા, ખાંડ, ચા, પેટ્રોલિયમ ઓયલ, કપાસ, ટાચર, રબર સહિત 137 વસ્તુઓની નિકાસ કરે છે. જે અટારી-વાઘા બોર્ડર થઈને પાકિસ્તાન પહોંચે છે.


ભારત પાકિસ્તાનમાંથી અનાનસ, ફેબ્રિક કોટન, પેટ્રોલયિમ ગેસ, પોર્ટલેન્ડ સીમેન્ટ, કોપર વેસ્ટ અને સ્ક્રેપ, કોટન યાર્ન સહિત 264 વસ્તુઓ આયાત કરે છે. જે ઉરી, પુંછ અને મુઝ્ઝફરાબાદના રસ્તેથી ભારતને આયાત કર છે.