નવી દિલ્હી: પાકિસ્તાનની વધારે એક નાપાક હરકતનાં કારણે દેશનો વધારે એક પુત્ર શહીદ થયો હતો. શનિવારે LOC પર રાજોરી જિલ્લાનાં નૌશેરા સેક્ટરમાં IEDને ડિફ્યુઝ કરતી વખતે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં સેનાના મેજર ચિત્રેશ સિંહ બિશ્ટ શહીદ થયા હતા. 31 વર્ષના ચિત્રેશના 7 માર્ચે લગ્ન થવાના હતા. તેઓ દહેરાદુનનાં રહેવાસી હતા અને તેમના પિતા ઉતરાખંડ પોલીસમાં ઈન્સપેક્ટર હતા.


સેનાના સુત્રો અનુસાર નૌશેરા સેક્ટરનાં લામ ઝાંગડ વિસ્તારમાં સરૈયા વિસ્તારમાં લગાવાયેલ IEDની માહિતી મળી હતી. ત્યાર બાદ તેને ડિફ્યુઝ કરવામાં આવી રહી હતી. ત્રણ આઈઈડીને સફળતાપુર્વક ડિફ્યુઝ કરી લેવામાં આવી હતી જોકે ચોથી આઈઈડીને ડિફ્યુઝ કરતા સમયે બ્લાસ્ટ થયો હતો. 

આ દરમિયાન એન્જિનિયર્સ વિભાગનાં મેજર ચિત્રેશ બિષ્ટ શહીદ થયા હતા. તેઓ 21 જીઆરમાં ફરજંદ હતા. આ અગાઉ 15 ઓગષ્ટે ચિત્રેશે 15-18 આઈઈડીને ડિફ્યુઝ કરી હતી. જે તેમની કંપનીનાં બેઝ કેમ્પમાં લગાવાઈ હતી. ચિત્રેશ ભારતીય સેન્ય એકેડેમીમાં દેહરાદુનથી 2010માં પાસ આઉટ થયા હતા. 


ચિત્રેશનાં સાત માર્ચે લગ્ન થવાના હતા. તેના માટે લગ્નના કાર્ડ વહેંચાઈ પણ ચુક્યા હતા. શનિવારે જ્યારે ચિત્રેશનાં પિતા લગ્નના કાર્ડ વહેંચીને પરત ફરી રહ્યા હતા ત્યારે જ તેમને પુત્રની શહાદતના સમાચાર મળ્યાં હતાં. શહીદ ચિત્રેશનો પાર્થિવ દેહ રવિવારે દેહરાદુન પહોંચશે. હાલ ઘરમાં શોકની લાગણી છવાઇ છે.