કોલકત્તાઃ પશ્વિમ બંગાળ પ્રદેશ કોગ્રેસ કમિટીના નવા અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, તેમની પાર્ટી આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોગ્રેસ અને ભાજપ વિરુદ્ધ માકપાની આગેવાની ધરાવતા મોરચા સાથે ગઠબંધન કરવા માટે તૈયાર છે.

અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, રાજ્યમાં પાયાની લડાઇ ધર્મનિરપેક્ષતા અને સાંપ્રદાયિકતા વચ્ચે છે. પ્રદેશ કોગ્રેસ કમિટીના અધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યા બાદ ચૌધરીએ કહ્યું કે, કોગ્રેસના ધર્મનિરપેક્ષ આદર્શ બીજેપી અને તૃણમૂલની સાંપ્રદાયિક નિવેદનબાજીને પરાજીત કરશે. તૃણમૂલ કોગ્રેસના કુશાસન વિરુદ્ધ કોગ્રેસ ડાબેરીઓ સાથે મળીને પુરા ઉત્સાહથી લડવા માંગે છે.

નોંધનીય છે કે 2016માં ડાબેરીઓ સાથે કોગ્રેસે ગઠબંધન કર્યું હતું. જોકે, 2019માં લોકસભા ચૂંટણીમાં આ ગઠબંધન તૂટી ગયું હતું. લોકસભામાં કોગ્રેસ નેતા ચૌધરીએ કહ્યું કે અમે માકપા અને અન્ય ડાબેરી પક્ષો સાથે કરાર ક્યારેય ખત્મ કરવા માંગતા નહોતા પરંતુ માકપાને લાગ્યું કે, કોગ્રેસ સાથે ગઠબંધન કરીને તેમને યોગ્ય સફળતા મળી નથી. પરંતુ કોગ્રેસે ક્યારેય એવુ વિચાર્યુ નથી.