દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. કોરોના કાળમાં અનેક લોકોએ તેમની નોકરી ગુમાવી છે, જેના કારણે બે ટંકા ખાવાના પણ ફાંફા પડી ગયા છે. કોરોના મહામારીમાં જ્યારે કોઈ વ્યક્તિ નોકરી કે રોજગારી ગુમાવે છે ત્યારે પરિવારની જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ હોય છે. આ લેખમાં આપણે જ્યારે નોકરી છૂટી જાય ત્યારે કેવી રીતે કમાણી કરી શકાય તે અંગે વાત કરીશું.


ઓનલાઈન સેલિંગઃ હાલના સમયમાં ઓનલાઈન સેલિંગ ખૂબ વધ્યું છે. તમે અમેઝોન, મિંત્રા, ફ્લિપકાર્ટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે જોડાણ કરીને તમારી પ્રોડક્ટ વેચી શકો છો. આ કંપનીઓનું નેટવર્ક ઘણું વિશાળ છે, જેનો લાભ તમે લઈ શકો છો.


ફ્રિલાન્સર, કન્સલટન્ટઃ જો તમને મર્ચન્ટ બનવામાં રસ ન હોય તો કન્સલટેશન અને ફ્રિલાન્સિંગનો વિકલ્પ પણ તમ તારી સામે છે. હાલના દિવસોમાં ફ્રિલાન્સિંગ બિઝનેસનો વ્યાપ વધ્યો છે અને તેમાં કામ કરવા માંગતા લોકોને અઢળક ઓફર મળી રહી છે. તમારી સ્કીલના આધારે ડિઝાઇનિંગ, લેખન, બ્લોગ એડિટિંગ, વીડિયો એડિટિંગ, પ્રૂફ રિડિંગમાં ફ્રિલાન્સિંગ કરી શકો છે. કન્સલટન્ટ બનવા માટે તમારે બધી બાબતનું જ્ઞાન અને અનુભવ જોઈશે. આ ઉપરાંત સામેની વ્યક્તિને કન્વીન્સ કરવાની સ્કીલ પણ જોઈશે.


બ્લોગરઃ ઘણા લોકોને બ્લોગ લખવાની પેશન હોય છે પરંતુ હાલના દિવસોમાં આ પેશન તમને સારી આવક કરાવી શકે છે. જો તમારા બ્લોગને મોટી સંખ્યામાં લોકો વાંચતા હોય તો કોઈ કંપની સાથે ટાઈઅપ કરીને કમાણી કરી શકો છો.


માર્કેટિંગઃ મહામારીના આ સમયમાં આવક મેળવવા માટેનું આ સારો વિકલ્પ છે. તમે કોઈ પણ પ્રોડક્ટની સારી રીતે સમજણ લીધા બાદ તેનું વેચાણ કરીને તગડું કમીશન મેળવી શકો છો.


યુટ્યૂબ ચેનલ, ઈન્સ્ટાગ્રામઃ વર્તમાન સમયમાં યુટ્યૂબ ચેનલ અને ઈન્સ્ટાગ્રામ આવકનો સારો સ્ત્રોત છે. તમે તમારી પોતાની યુટ્યૂબ ચેનલ શરૂ કરીને આવક કરી શકો છો. આ ઉપરાંત ઈન્સ્ટાગ્રામ પર વિવિધ પોસ્ટ કરીને પણ આવક કરી શકો છો. આ બંને પરથી આવક મેળવવા માટે પહેલા કંપનીના કેટલાક ધારાધોરણ પાલન કરવા પડે છે.