નવી દિલ્હીઃ રાહુલ ગાંધી અને સચિન પાયલટની બેઠક બાદ રાજસ્થાનમાં રાજકિય સંકટ ખતમ થયું છે. કૉંગ્રેસથી બગાવતના એક મહિના બાદ સચિન પાયલટની ઘરવાપસી થઈ છે. દિલ્લીમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે સચિન પાયલટની મુલાકાત થઈ જે બાદ સચિન પાયલટની નારાજગી દૂર કરવા માટે પાર્ટીએ ત્રણ સભ્યોની કમિટી બનાવી છે.


કમિટીની જાહેરાત બાદ સચિન પાયલટ મીડિયા સામે આવ્યા હતા. સચિન પાયલટે કહ્યું કે, પદની કોઈ લાલચ નથી. સૈદ્ધાંતિક મુદ્દો રાહુલ ગાંધી સામે ઉઠાવ્યો છે. ખુશી છે કે નારાજગી મુદ્દે હાઈકમાન્ડે મારી સાથે વિસ્તાર્થી ચર્ચા કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ તેમને ફરીથી રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ બનાવાય તેવી સંભાવનાઓ નથી. હાલ તેમને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવે તેવી સંભાવના છે. તેમણે કહ્યું કે તે કોંગ્રેસ વિરૂદ્ધ કશું બોલ્યા નથી. તેમને અશોક ગેહલોત સામે વાંધો છે.

સચિન પાયલટે રાહુલ પ્રિયંકાને કહ્યું હતું કે તેમના જૂથને અશોક ગેહલોતનો વિરોધ છે, પરંતુ કોંગ્રેસ સાથે કોઈ જ સમસ્યા નથી. પાયલટ સાથે બેઠક કરતાં પહેલાં રાહુલ અને પ્રિયંકાએ દોઢ કલાક સુધીવાતચીત કરી હતી. બંને વચ્ચે સહમતિ થઈ પછી પાયલટને મળ્યા હતા.

એ દરમિયાન સચિન પાયલટ જૂથના નેતા ભંવરલાલ શર્માએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે બેઠક કરી હતી. મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળ્યા પછી ભંવરલાલે સૂચક નિવેદન આપતા કહ્યું હતું કે ઘરનો મામલો ઘરમાં જ પૂરો થઈ ગયો. બધી જ ફરિયાદો દૂર થઈ ગઈ છે.