નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે ઉભી થયેલ સ્થિતિને કારણે જે સેક્ટર્સને સૌથી વધારે નુકસાન થઈ રહ્યું છે તેમાં એવિએશન સેક્ટરનું નામ પણ છે. એરલાઈનલ કંપનીઓને ભારે ખોટમાં ચાલી રહી છેઅને રેવન્યૂ ન આવવાને કારણે કડક નિર્ણય લઈ રહી છે. હવે આ જ ક્રમમાં એર એશિયા ઇન્ડિયાનું નામ જોડાઈ ગયું છે જેણે પોતાના કર્મચારીઓના એપ્રિલ મહિનાના પગારમાં ઘટાડાનો નિર્ણય કર્યો છે.


એર એશિયા ઇન્ડિયાએ એપ્રિલ મહિનામાં પોતાના સીનિયર મેનેજમેન્ટના પગારમાં 20 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. સૂત્રો અનુસાર આ જાણકારી મળી છે. જોકે કહેવામાં આવી રહ્યુંછે કે, જે કર્મચારીઓનો પગાર 50,000 રૂપિયા અથવા તેનાથી ઓછો છે તેમને પગારમાં કોઈ કાપ કરવામાં નહીં આવે.

એર એશિયાના સીનિયર મેનેજમેન્ટના પગારમાં 20 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, તેની સાથે જ બીજી કેટેગરીમાં આવનારા ઓફિસર્સના પગારમાં પણ પદની વરિષ્ઠતાના આધારે ક્રમશઃ 17 ટકા, 13 ટકા અને 7 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

જોકે એર એશિયાના પ્રવક્તાએ આ મામલે કોઈપણ સત્તાવાર ટિપ્પણી કરવાની અને જાણકારી આપવાની ના પાડી દીધી છે પરંતુ સૂત્રો અનુસાર આ અહેવાલ સામે આવ્યા છે.

નોંધનીય છે કે, એર એશિયાનું મુખ્યાલય બેંગલુરુમાં છે અને એક બજેટ એરલાઈન છે. એર એશિયા પહેલા સ્પાઇસજેટ અને ઇન્ડિગો જેવી એરલાઈન્સે પણ કર્મચારીઓના પગારમાં કેટલાક ટકા ઘટાડો કર્યો છે અને કેટલાક કર્મચારીઓને પગાર વગર રજા પર મોકલવાનો નિર્ણય કર્યો છે.