નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર બુધવારે રાતે મોટી દુર્ઘટના ટળી હતી. અહીંયા એર ઇન્ડિયાના બોઇંગ વિમાનમાં અચાનક આગ લાગી હતી. જે બાદ ફ્લાઇટમાં ધૂમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા. વિમાનમાં આગ લાગી ત્યારે રિપેરિંગ કામ ચાલતું હતું અને ફ્લાઇટમાં એક પણ મુસાફર નહોતા.


દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયાની દિલ્હી-સાન ફ્રાન્સિસકો ફ્લાઇટમાં ગઇકાલે ઓક્સિલરી પાવર યુનિટ (APU)ના સમારકામ દરમિયાન આગ લાગી હતી. એસી રિપેરિંગ દરમિયાન આગ લાગી હતી. આગ લાગી ત્યારે પ્લેન ખાલી હતું, જેથી કોઇ દુર્ઘટના સર્જાઈ નહોતી. ફાયર ફાઇટરે તાત્કાલિક આવી પહોંચીને આગ પર નિયંત્રણ મેળવી લીધું હતું.


એર ઈન્ડિયાની આ ફ્લાઇટ B777-200 LR દિલ્હીથી અમેરિકાના સાન ફ્રાન્સિસકો જવાની હતી. પરંતુ આગ લાગવાની ઘટના બાદ ફ્લાઇટ રદ કરવી પડી હતી. દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ એક નિવેદન પણ જાહેર કર્યું હતું. કંપનીએ કહ્યું કે, બુધવારે રાતે જ્યારે ઉડાન પહેલા એન્જિનિયર રૂટિન ચેકિંગ કરતા હતા ત્યારે પાછલા ભાગમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે.