વંદે ભારત મિશનઃ એર ઈન્ડિયા અમેરિકા માટે શરૂ કરશે 36 ફ્લાઇટ, જાણો ક્યારથી શરૂ થશે બુકિંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Jul 2020 05:44 PM (IST)
ભારત સરકાર વિશ્વભરમાં કોરોના મહામારીના કારણે લોકડાઉનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા વંદે ભારત મિશન ચલાવી રહી છે.
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય એરલાઇન્સ કંપની એર ઈન્ડિયાએ વંદે ભારત મિશન હેઠળ 11 થી 19 જુલાઈ, 2020 સુધી અમેરિકાથી ફલાઇટ ચલાવવાની જાહેરાત કરી છે. ભારત અને અમેરિકા વચ્ચે કુલ 36 ફ્લાઇટ ચલાવવામાં આવશે. આ ફ્લાઇટ ચલાવવાથી કોરોના વાયરસના કારણે અમેરિકામાં ફસાયેલા ભારતીયો સ્વદેશ પરત ફરી શકશે. ઉપરાંત ભારતમાં ફસાયેલા લોકો અમેરિકા જઈ શકશે. એર ઈન્ડિયા તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, અમેરિકા માટેની ફ્લાઇટની ટિકિટનું બુકિંગ માત્ર એર ઈન્ડિયાની સત્તાવાર વેબસાઇટ કે એરઈન્ડિયાની બુકિંગ ઓફિસથી થઈ શકશે. ફ્લાઇટનું બુકિંગ 6 જુલાઈ 2020થી સવારે 2 વાગ્યાથી શરૂ થશે. 6 જુલાઈ 2020ની સવારે 2 વાગ્યે ન્યૂયોર્કમાં સવારના 10.30 વાગ્યા હશે. શિકાગોમાં સવારે 9.30થી બુકિંગ શરૂ થશે. સાન ફ્રાન્સિસ્કોમાં સવારે 7.30 બુકિંગ શરૂ થશે. ભારત સરકાર વિશ્વભરમાં કોરોના મહામારીના કારણે લોકડાઉનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા વંદે ભારત મિશન ચલાવી રહી છે.