નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના ટીએમસી નેતા કલ્યાણ બેનર્જીએ નિર્મલા સીતારમણને લઈ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે સીતારમણ પર અર્થતંત્ર ડામાડોળ કરવાનો આરોપ લગાવ્યો છે. ઉપરાંત દેશના સૌથી ખરાબ નાણા મંત્રી હોવાનો દાવો કર્યો છે.


શનિવારે બાંકુડામાં TMC નેતા કલ્યાણ બેનર્જીએ કહ્યું, ઝેરી સાપ કરડવાથી જે રીતે લોકોના મોત થાય છે તેવી રીતે નિર્મલા સીતારમણના કારણે લોકો મરી રહ્યા છે. તેમણે અર્થવ્યવસ્થા ખોરવી નાંખી છે. તેમને શરમ આવવી જોઈએ અને પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. તે સૌથી ખરાબ નાણા મંત્રી છે.



આ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, જૂનમાં રાજ્યમાં બેરોજગારી દર 6.5 ટકા રહ્યો છે. જે દેશની તુલનામાં ઘણો સારો છે. દેશમાં બેરોજગારી દર 11 ટકા છે. મુખ્યમંત્રીએ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ) દ્વારા જાહેર કરેલા આંકડાનો હવાલો આપ્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 736 લોકોના મોત થયા છે.