નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં અનેક મહત્વના ફેંસલા લીધા હતા. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, બેંકિંગ સેકટરને લઈ સરકારે મોટા ફેંસલા લીધા છે. મોદી કેબિનેટે અધ્યાદેશ પર મહોર મારતા તમામ 1540 કો-ઓપરેટિવ અને મલ્ટી સ્ટેટ બેંકને રિઝર્વ બેંક અંતર્ગત લાવવાનો ફેંસલો કર્યો છે. જેનાથી 8 કરોડ 60 લાખ ખાતાધારકોની ડિપોઝિટ સુરક્ષિત થશે.


જાવડેકરે કહ્યું કે, દેશમાં 1482 અર્બન કો ઓપરેટિવ બેંક અને 58 મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ બેંક છે. જેને લઈ અધ્યાદેશ લાવવામાં આવ્યો છે. તમામ બેંક રિઝર્વ બેંકના સુપરવિઝનમાં આવશે. તમામ બેંકિંગ નિયમ આ કો ઓપરેટિવ બેંક પર લાગુ થશે. જેનો ફાયદો થસે કે જમાકર્તાને તેમના રૂપિયા સુરક્ષિત હોવાનો ભરોસો મળશે. 1540 બેંકમાં 8 કરોડ 60 લાખ ખાતાધારકો છે. જેમના ખાતામાં કુલ મળીને 4 લાખ કરોડ 84 લાખ રૂપિયા જમા છે.


તેમણે એમ પણ કહ્યું કે, મુદ્રા લોન યોજના અંતર્ગત શિશુ મુદ્રા લોન લેનારા 9 કરોડ 37 લાખ લોકોને વ્યાજમાં 2 ટકાની છૂટ મળશે,. લારી લઈને ઉભા રહેતા કે નાના દુકાનદારો મુદ્રા યોજના પહેલા સાહુકારો પાસેથી રૂપિયા લેતા હતા અને તોતિંગ વ્યાજ ચૂકવતા હતા. હવે તેમને બેંકોમાંથી રૂપિયા મળે છે અને 2 ટકા છૂટ મળશે. નાના લોકોને મોટો ફાયદો આપતી યોજના છે. 1 જૂન 2020થી આ યોજના લાગુ થશે અને 31 મે 2021 સુધી ચાલુ રહેશે. આ માટે ચાલુ વર્ષે 1540 કરોડ રૂપિયા ખર્ચ કરાશે.


કેબિનેટ બેઠકમાં પશુધન વિકાસ માટે 15000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. જેનાથી દૂધ ઉત્પાદન વધશે અને લાખો લોકોને રોજગારી પણ મળશે.

સોનાએ રચ્યો ઈતિહાસ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલા પર પહોંચ્યો