લંડનઃ  બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળતા ફફડાટ ફેલાયો છે. બ્રિટન સરકારે વાયરસનો નવો સ્ટ્રેન નિયત્રણ બહાર હોવાની ચેતવણી આપી છે. આ સાથે જ બ્રિટનમાં ક્રિસમસ બબલ કાર્યક્રમ પણ રદ કરી દેવામાં આવ્યો છે. જ્યારે યુરોપિયન યુનિયનના અનેક દેશોએ બ્રિટેનથી આવતી ફ્લાઈટો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.


UKમાં વાઈરસ વધુ ઘાતક બનવાની ભીતિને પગલે અમદાવાદ સહિત ભારતના કોઇપણ એરપોર્ટ પર UKની ફ્લાઈટમાં આવતા કે UK થઈને આવતી ફ્લાઈટમાં આવતા તમામ મુસાફરો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુસાફરોએ ફરજીયાત RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. ટેસ્ટ પોઝિટિવ આવે તો ક્વોરન્ટાઈન થવું પડશે. માત્ર એટલું જ નહીં, ટેસ્ટ નેગેટિવ આવે તો પણ 7 દિવસ ક્વોરન્ટાઈન થવું પડશે.



ભારતે બ્રિટનમાંથી આવનારી તમામ ફ્લાઇટ્સો પર 31 ડિસેમ્બર સુધી રોક લગાવી દીધી છે. કોરોનાનો બ્રિટનમાં નવો સ્ટ્રેન આવ્યા બાદ ભારત તરફથી આ પગલુ ભરવામાં આવ્યુ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી એવુ કહેવામાં આવ્યુ છે કે બ્રિટનમાં પેદા થયેલી હાલની સ્થિતિને જોતા ભારતે બ્રિટનથી આવનારી તમામ ફ્લાઇટ્સોને 31 ડિસેમ્બર 2020ની રાત્રે 11 વાગીને 59 મિનીટ સુધી રોક લગાવવાનો ફેંસલો લીધો છે.

વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા  સાત કરોડ 71 લાખને પાર પહોંચી ગઈ છે. કોરોનાથી 16 લાખ 99 હજારથી વધારે લોકોના મોત થયા છે.  5 કરોડ 40 લાખથી વધારે લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.