કોવિડ-19ના નવા સ્ટ્રેનના કારણે ભારતે આ દેશમાંથી આવતી તમામ ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Dec 2020 05:49 PM (IST)
જે યાત્રી ભારત આવી રહ્યા છે તેમણે સંબંધિત એરપોર્ટ પર જ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો પડશે.
નવી દિલ્હી : બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન સામે આવતા ભારતે 31 ડિસેમ્બર સુધી બ્રિટનથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ 22 ડિસેમ્બર રાત્રે 11.59 વાગ્યાથી 31 ડિસેમ્બર રાત્રે 11.59 વાગ્યા સુધી અમલમાં રહેશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી આ અંગે સોમવારે જાણકારી આપવામાં આવી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે અમે અસ્થાયી રીતે બ્રિટનથી આવનાર અને ત્યાં જનાર બધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવી રહ્યા છીએ. બધા યાત્રી જે બ્રિટનથી ભારત આવી રહ્યા છે તેમણે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો અને સાત દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવું ફરજિયાત રહેશે. મંત્રાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી કરેલ ટ્વિટમાં જણાવ્યું છે કે સાવધાની રાખતા જે યાત્રી બ્રિટનથી આવી રહ્યા છે તેમણે સંબંધિત એરપોર્ટ પર જ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો પડશે.