અલ્હાબાદ: પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ લગાવનાર લૉની વિદ્યાર્થીની પીડિતાને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. ચિન્મયાનંદની જામીન અરજી પર હાઈકોર્ટમાં 16 નવેમ્બર સુધી નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. ચિન્મયાનંદની 20 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે 25 સપ્ટેમ્બરે SIT એ પીડિતાને બ્લેકમેલિંગ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પીડિતા યુવતીએ જામીન અરજી કરી હતી.


ચિન્મયાનંદની જ કૉલેજના પૂર્વ મહિલા આચાર્યએ તેની વિરુદ્ધ નોંધાવેલી યૌન શોષણનના અન્ય એક કેસમાં સુનાવણી પણ કોર્ટ 13 ડિસેમ્બરે કરશે. આ મામલો 2012માં શાહજહાંપુર સદર કોતવાલીમાં નોંધવામાં આવ્યો હતો.

ચિન્મયાનંદ મામલે વિપક્ષ પાર્ટીઓ પણ સતત ભાજપ પર નિશાન સાધતી રહી છે. વિપક્ષનું કહેવું છે કે પોતાના નેતાને બચાવવા માટે પીડિતા વિરુદ્ધ ખોટા કેસ કરવામાં આવ્યા.

સ્વામી ચિન્મયાનંદ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આરોપી વિદ્યાર્થીએ પોતાના મિત્રો સાથે પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગી અને બદનામ કરવાની ધમકી આપી હતી. જેની રેકોર્ડિંગ એસઆઈટીને સોંપવામાં આવી છે. કહેવામાં આવ્યું કે પાંચ કરોડ રૂપિયા ન આપવાના કારણે વિદ્યાર્થીનીએ સ્વામી ચિન્મયાનંદ વિરુદ્ધ દુરાચારનો ખોટો આરોપ લગાવ્યા છે.