મુંબઈ: મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર પાસે એક સ્કૉર્પિયો કાર મળી આવી હતી, જેમાં જિલેટિનની સ્ટીક હતી. ત્યારબાદ શુક્રવારે ગાડીના માલિક મનસુખ હિરેનનો મૃતદેહ મળી આવ્યો છે. હવે મનસુખ હિરેન મોતની તપાસ મહારાષ્ટ્ર સરકારે એટીએસને સોંપી છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું ગાડી મનસુખની નહી પરંતુ સૈમ નામના વ્યક્તિની હતી. પરંતુ પોલીસમાં કાર ચોરીની ફરિયાદ નોંધાવતી વખતે મનસુખે જણાવ્યું હતું કે તેણે કાર ખરીદી લીધી હતી.


અનિલ દેશમુખે કહ્યું, 'મુંબઈમાં 25 ફેબ્રુઆરીએ મુકેશ અંબાણીના ઘરની બહાર એક ગાડી મળી હતી, જેમાં કેટલાક વિસ્ફોટક મળી આવ્યા હતા. આ મામલે તપાસ ચાલુ છે. જેની પાસે આ ગાડી હતી, તેનો મૃતદેહ મળી આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ ખબર પડશે. સમગ્ર તપાસની જવાબદારી અમે એટીએસને સોંપી છે.'



મનસુખનો શુક્રવારે થાણેમાં નદીના કિનારે મૃતદહે મળ્યો. પોલીસે આ જાણકારી આપી હતી. થાણે પોલસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આશરે 45 વર્ષનો મનસુખ ગુરુવારે રાત્રે ગુમ થયો હતો. મુંબ્રા રેતી બુંદર રોડ નજીકની એક નદીના કિનારા પરથી તેનો મૃતદેહ મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ મુંબઈમાં અંબાણીનીન ઘર એન્ટીલિયાની નજીક 25 ફેબ્રુઆરીએ મનસુખની સ્કૉર્પિયો કાર અંદર જિલેટિનની સ્ટીક રાખેલી મળી આવી હતી. પોલીસે કહ્યું હનતું કે કાર 18 ફેબ્રુઆરીએ એરોલી-મુલુંદ બ્રિજ પરથી ચોરી થઈ હતી.

મુંબઈ પોલીસની ગુનાખોરી શાખાએ આ મામલે મનસુખનું નિવેદન નોંધ્યું હતું. ઓટો પાર્ટસનો વ્યવસાય કરનાર મનસુખે જણાવ્યું હતું કે તેની કાર ચોરાઇ ગયા બાદ તેણે પોલીસને ફરિયાદ આપી હતી.