નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સ દ્વારા બિહાર જનસંવાદ રેલીને સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું "ભારતના રાજકીય ઈતિહાસમાં આ પ્રથમ વર્ચુઅલ રેલી છે. હું બિહારના કાર્યકર્તાઓનું સ્વાગત કરું છું. 2014 અને 2019માં એનડીએને જનાદેશ આપીને સરકાર બનાવવામાં યોગદાન આપવા માટે બિહારની જનતાનો આભાર માનું છું. અઢી કરોડ લોકોના ઘરમાં વીજળી આવી છે, ફાનસનો જમાનો ગયો."




શાહે કહ્યું, ઈન્દિરા ગાંધીએ જ્યારે કટોકટી લગાવી હતી ત્યારે બિહારની જનતાએ જેપી આંદોલન કરીને ફરીથી લોકતંત્ર સ્થાપ્યું હતું. બીજેપીની સરકાર ગરીબોની સરકાર છે. બિહારની ધરતીએ પ્રથમ વખત વિશ્વમાં લોકતંત્રનો અનુભવ કરાવ્યો. આ ભૂમિએ હંમેશા ભારતનું નેતૃત્વ કર્યુ છે. આ રેલીને ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી. ભાજપ લોકતંત્રમાં વિશ્વાસ રાખે છે.



આરજેડી નેતા રાબડી દેવી દ્વારા સવારે થાળી વગાડીને વર્ચુઅલ રેલીનો વિરોધ કરવાનો જવાબ આપતાં કહ્યું, કેટલાક લોકોએ થાળી વગાડીને રેલીનું સ્વાગત કર્યુ. મને સારું લાગે છે કે કોરોના સામે લડવા પીએમ નરેન્દ્ર મોદીની અપીલને કેટલાક લોકોએ મોડી મોડી પણ આવકારી. આ રાજકીય દળના ગુણગાન ગાવાનીરેલી નથી. આ રેલી જનતાને કોરોના સામેના જંગમાં જોડવા માટે છે.



જે વક્રદ્રષ્ટા લોકો આમાં પણ રાજનીતિ જોઈ રહ્યા છે તેમને હું કહું છું કે તેમને કોણે રોક્યા હતા. દિલ્હીમાં આરામથી બેસી રહેવાના બદલે દિલ્હીથી લઈ પટના અને દરભંગાની જનતાએ જોડવા માટે એક વર્ચુઅલ રેલી કરી લીધી હોત. મોદીજીએ છ વર્ષની અંદર કરોડો ગરીબોના જીવનમાં પ્રકાશ લાવવાનો પ્રયાસ કર્યો છે, જેનો સૌથી મોટો ફાયદો જો કોઈને થયો હોય તો પૂર્વ ભારતના લોકોને થયો છે.

રાહુલ ગાંધી હંમેશા કહેતા હતા કે ખેડૂતોનું દેવું માફ કરો, જ્યારે 10 વર્ષ તેમની સરકાર રહી ત્યારે દાવો કરતા હતા કે આશરે 3 કરોડ ખેડૂતોનું 60 હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું. નરેન્દ્ર મોદીજીએ ખેડૂત સમ્માન નિધિના માધ્યમતી 9.5 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 72,000 કરોડ રૂપિયા નાંખવાની વ્યવસ્થા કરી છે.

દેશનો કોઈ હિસ્સો વિકસિત હોય તેના મૂળમાં જાવ તો બિહારના પ્રવાસી મજૂરોના પરસેવાની સુગંધ આવે છે.