મુંબઈ: આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસે જાહેરાત કરતા કહ્યું, મહારાષ્ટ્રમાં શિવસેના લોકસભાની 23 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે ભાજપ 25 બેઠકો પર ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠકો છે.


અમિત શાહે દાવો કર્યો છે કે શિવસેના ભાજપ ગઠબંધન લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં 45 બેઠકો પર જીત મેળવશે. મુખ્યમંત્રી દેવેદ્ર ફડણવીસે કહ્યું, અમારી વચ્ચે મતભેદ પરંતુ વિચારધારા સમાન છે. દેવેંદ્ર ફડણવીસે કહ્યું, રાષ્ટ્રવાદ પર ભરોસો રાખનારા પક્ષોની જવાબદારી છે કે તેઓ એક થાય. તેમણે જણાવ્યું કે ભાજપ શિવસેના વચ્ચે ગઠબંધન નક્કી થયું છે, જેમાં શિવસેના 23 બેઠકો અને ભાજપ 25 બેઠકો પર ચૂંટણી લડશે.


મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી લોકસભા ચૂંટણીના થોડા મહિના બાદ હશે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના બરાબર-બરાબર બેઠકો પર ચૂંટણી લડશે. દેવેંદ્ર ફડણવીસે કહ્યું, શિવેસેના ભાજપના સંબંધો 25 વર્ષોના છે. પરંતુ ગત વિધાનસભા ચૂંટણીમાં કેટલાક મતભેદોના કારણે બંને પક્ષો અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા. તેમણે જણાવ્યું કે વિધાનસભા ચૂંટણીમાં નાના પક્ષોને કેટલીક બેઠકો આપ્યા બાદ જે બેઠકો વધશે તેમાં ભાજપ કૉંગ્રેસ સમાન બેઠકો પર ચૂંટણી લડશે.