નવી દિલ્હી: દિલ્હીમાં મંગળવારે ભાજપની સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના સાંસદોને કહ્યું કે તેઓ 7 ઓગસ્ટ સુધી કોઈ પણ કિંમતે દિલ્હીમાં જ રહે અને મોડી રાત સુધી કામ કરવા માટે તૈયાર રહે. સરકારનું લક્ષ્ય વધુ 11 બિલ પાસ કરાવવાનું છે. અને અત્યાર સુધી 15 બિલ પાસ થયા છે. 6 બિલ લોકસભામાંથી પાસ થયા છે જેને રાજ્યસભાની મંજૂરી બાકી છે. ત્યારે હજુ 11 બિલ પાસ થવાના છે.


અમિત શાહે કહ્યું કે બિલ પર મત વિભાજન સમયે સાંસદોની હાજરી જરૂરી છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે પાર્ટી સાંસદો માટે 3-4 ઓગસ્ટે બે દિવસીય કાર્યશાળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ સાંસદો ઉપસ્થિત રહે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી સહિત ભાજપનું નેતૃત્વ વારંવાર સંસદમાં સાંસદોની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવા પર જોર આપતું રહ્યું છે.

સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યુ કે અત્યાર સુધી 15 બિલ પાસ થયા છે. લોકસભામાંથી 6 બિલ પાસ થયા છે. જેને રાજ્યસભાનીં મંજૂરી બાકી છે. ચાર બિલ રાજ્યસભામાં પાસ થયા છે. જેને લોકસભાની મંજૂરી મળવાની બાકી છે.