Amit Shah CAA Remark: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર વચ્ચે નાગરિક સંશોધન કાયદો એટલ કે સીએએ પર ફરી એકવાર ચર્ચા શરૂ થઇ શકે છે. એક ઈન્ટરવ્યુમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે જે લોકોને લાગે છે કે સરકારે CAAને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધો છે તે ખોટા છે. લોકોએ આ અંગે મૂંઝવણમાં ન રહેવું જોઈએ.


ટાઈમ્સ નાઉ નવભારતના એક કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે CAA એક વાસ્તવિકતા અને આ દેશનો કાયદો છે. તે લાગુ નહી થાય તેને લઇને સપના જોઇ રહેલા લોકો ભૂલ કરી રહ્યા છે. CAA લાગુ કરવામાં વિલંબ અંગે ગૃહમંત્રીએ કહ્યું હતું કે આપણે આ અંગે નિયમો બનાવવા પડશે. કોરોનાને કારણે તેનો અમલ થઈ શક્યો નથી, પરંતુ હવે કોરોના ખતમ થઈ રહ્યો છે. હવે તેના પર કામ કરશે. જો કે એવું નથી કે અમિત શાહે આવું પહેલીવાર કહ્યું છે. આ પહેલા પણ અમિત શાહે પોતાના અનેક ભાષણોમાં નાગરિકતા કાયદાના અમલનો ઉલ્લેખ કર્યો છે.


પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટ પર આપ્યો જવાબ


આ કાર્યક્રમ દરમિયાન અમિત શાહને પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટ અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના પર ગૃહમંત્રીએ કહ્યું હતુ કે આ મામલો હજુ કોર્ટમાં છે, તેથી તેના પર ટિપ્પણી કરવી યોગ્ય નથી. કારણ કે અયોધ્યાના ચુકાદા બાદ જે વિવાદો સામે આવ્યા છે તેમાં આ કાયદાને લઈને એક પડકાર સામે આવ્યો છે. હું માનું છું કે દરેક કાયદો કોર્ટની કાનૂની તપાસમાંથી પસાર થવો જોઈએ. સરકાર આ અંગે પોતાનો જવાબ દાખલ કરશે.


ચીનને લઈને અમિત શાહે કહ્યું હતું. કે ચીન સાથેનો સીમા વિવાદ ઘણો જૂનો છે. જે લોકો આજે સવાલો ઉઠાવી રહ્યા છે કે તેમના સમયમાં ચીન એક લાખ એકરથી વધુ જમીન છીનવી ગયું હતું. તેમણે ઈતિહાસ વાંચવો જોઈએ. જ્યાં સુધી અમારી સરકારનો સવાલ છે, અમે કટિબદ્ધ છીએ કે એક ઇચ જમીન પણ વિદેશના કબજામાં જઇ શકે નહીં.


આ મુલાકાત દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે બીજેપીના મિશન સાઉથ વિશે કહ્યું કે આ વખતે ત્યાં બીજેપીની એન્ટ્રી થશે. તેલંગણામાં ભાજપ સરકાર બનાવશે. હું જાણું છું કે પરિવર્તન થવાનું છે.