Ashok Gehlot On Sachin Pilot: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરી એકવાર પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ પર નિશાન સાધ્યું છે. સચિન પાયલટની ટીકા કરતા અશોક ગેહલોતે તેમને ગદ્દાર ગણાવ્યા છે. તેમણે કહ્યું, "ગદ્દાર મુખ્યમંત્રી ન બની શકે. હાઈકમાન્ડ સચિન પાયલટને મુખ્યમંત્રી ન બનાવી શકે. જે વ્યક્તિ પાસે 10 ધારાસભ્યો નથી, જેણે બળવો કર્યો, પાર્ટી સાથે વિશ્વાસઘાત કર્યો, તેણે  ગદ્દારી કરી છે."


2020ના રાજકીય સંકટનો ઉલ્લેખ કરતા અશોક ગેહલોતે કહ્યું કે દેશના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું હશે કે કોઈ પાર્ટીના અધ્યક્ષે તેમની સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હોય. તેમણે કહ્યું કે આ માટે ભાજપ દ્વારા પૈસા આપવામાં આવ્યા હતા. ભાજપની દિલ્હી ઓફિસમાંથી 10 કરોડ રૂપિયા આવ્યા હતા, મારી પાસે પુરાવા છે. આમાંથી કેટલા પૈસા કોને આપ્યા તેની મને ખબર નથી.


 


સચિન પાયલટ પર આ આરોપો લગાવવામાં આવ્યા હતા


NDTV સાથેની વાતચીતમાં રાજસ્થાનના મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે સચિન પાયલટે દિલ્હીમાં ભાજપના બે વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. "અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાન સામેલ હતા. તેઓએ (પાયલોટ સહિત) દિલ્હીમાં મીટિંગ કરી હતી," તેમણે ઉમેર્યું હતું કે, બળવાખોર નેતાઓ જ્યાં રોકાયા હતા તે હોટેલમાં ધર્મેન્દ્ર પ્રધાન પણ મળવા ગયા હતા. સીએમ ગેહલોતે દાવો કર્યો હતો કે 2009માં જ્યારે યુપીએ સરકાર બની ત્યારે તેમણે (પાયલટ)ને કેન્દ્રીય મંત્રી બનાવવાની ભલામણ કરી હતી.


 


2020માં રાજકીય સંકટનો જન્મ થયો હતો


2020માં રાજસ્થાન કોંગ્રેસમાં ઉભી થયેલી રાજકીય કટોકટી દરમિયાન સચિન પાયલટ 19 ધારાસભ્યો સાથે દિલ્હી નજીકના એક રિસોર્ટમાં ગયા હતા. રાજકીય ગલિયારાઓની ચર્ચા મુજબ કોંગ્રેસ માટે સીધો પડકાર હતો કે કાં તો તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે અથવા તો તેઓ કોંગ્રેસમાંથી વોકઆઉટ કરે. જોકે, આ વિરોધની ગેહલોત સરકાર પર કોઈ અસર થઈ નથી. બાદમાં પાયલોટના પક્ષ સાથે સમાધાન થયું હતું. જો કે તેમને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. આ સાથે તેમને નાયબ મુખ્યમંત્રી પદેથી પણ હટાવી દેવામાં આવ્યા હતા.


 


પાયલોટ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રા કરી રહ્યા છે


સચિન પાયલટ હાલ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રા પર છે. આ યાત્રા હાલમાં મધ્યપ્રદેશમાંથી પસાર થઈ રહી છે. આ સાથે જ ભાજપે અશોક ગેહલોતના દાવાને પાયાવિહોણા ગણાવ્યા છે. ભાજપના રાજસ્થાન પ્રમુખ સતીશ પુનિયાએ કહ્યું, "કોંગ્રેસનું નેતૃત્વ પોતાનું ઘરને વ્યવસ્થિત કરવામાં  નિષ્ફળ ગયું છે. કોંગ્રેસ રાજસ્થાન હારી રહી છે, તેથી ગેહલોત નિરાશ છે. ગેહલોત પોતાની નિષ્ફળતા માટે ભાજપને જવાબદાર ઠેરવી રહ્યા છે."