નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કેસનો આંકડો 37 હજારની નજીક પહોંચી ગયો છે. દિલ્હીની વધતી ખરાબ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે બેઠક કરશે.




ગૃહ મંત્રાલયે કહ્યુ કે, અમિત શાહ સાથે બેઠકમાં કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પણ હાજર રહેશે. આ બેઠકમાં સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્યો સિવાય એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા અને સીનિયર અધિકારીઓ પણ સામેલ રહેશે.



નોંધનીય છે કે આજે ટેસ્ટિંગને લઇને  પૂછાયેલા એક સવાલના જવાબમાં દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું હતુ કે, તમારે ટેસ્ટિંગ વધારવી છે તો આઇસીએમઆરને કહો કે પોતાની ગાઇડલાઇન બદલે. અમે તેનો ભંગ કરી શકતા નથી.